કોરોનાની ગંભીરતાને જોતા સરકાર પણ એક પછી એક કડક નિર્ણયો લેવા માંડી છે. વધતા સંક્રમણને રોકવા અને કોઈપણ પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે દરેક શહેરો -જિલ્લાઓ તૈયાર
ત્રીજી લહેર આવી પરંતુ હોસ્પિટલો ખાલી!
ઘરે જ સારવાર લઈ લોકો સાજા થઈ રહ્યા છે
ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.. કોરોનાની ગંભીરતાને જોતા સરકાર પણ એક પછી એક કડક નિર્ણયો લેવા માંડી છે.. તેવામાં વધતા સંક્રમણને રોકવા અને કોઈપણ પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે દરેક શહેરો અને જિલ્લાઓમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સરકાર ખડે પગે
ગુજરાતમાં કોરોનાના કેસો હવે 5 હજારને પાર પહોંચી ગયા છે. જે આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, આપણે કોરોનાની ત્રીજી લહેરમાં પહોંચી ચૂક્યા છીએ અને તેના ગંભીર પરિણામો પણ આવવા માંડ્યા છે. તેવામાં બીજી લહેરમાં જે પ્રકારની મુશ્કેલીઓ પડી હતી તે પ્રકારની મુશ્કેલીઓનો હવે ગુજરાતને સામનો ન કરવો પડે તે પ્રકારની તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરેક જિલ્લામાં કોરોનાની સુનામી પહેલા જ સુરક્ષા દિવાર ઊભી કરી દેવામાં આવી છે એટલે કે, ગંભીર પરિસ્થિતિમાં પણ લોકોને સારવાર મળી શકે તે પ્રકારે બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે..
ચાર મહાનગરોમાં સતર્કતા
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આ ચારેય મહાનગરોમાં હાલ સૌથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં. ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ દ્વારા 3 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.. જ્યારે AMCએ 800 બેડની ધન્વંતરી હોસ્પિટલ પણ સ્ટેન્ડબાય રાખી છે. આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં હાલની તારીખે 2400 કોવિડ બેડ ખાલી પડ્યા છે.. એટલે કે, કોઈ મોટી મુશ્કેલી ઊભી થાય તો અમદાવાદ તેનો સામનો કરવા માટે તૈયાર છે.
વડોદરા પણ તૈયાર
બીજી તરફ વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો, અહીં પણ ત્રીજી લહેરનો સામનો કરવા માટે તંત્ર ફૂલ તૈયારીઓમાં છે.. જિલ્લામાં 20 સરકારી હોસ્પિટલ અને 38 પ્રાઈવેટ હોસ્પિટલ સહિત કુલ 58 હોસ્પિટલમાં 5,457 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 1,826 બેડ અને અને પ્રાઈવેટ હોસ્પિટલમાં 3,631 બેડની તૈયારી કરી છે. જોકે હાલની તારીખમાં જે પ્રમાણે કેસ આવી રહ્યા છે. તે પ્રમાણે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યા ખુબ ઓછી છે.. કારણ કે, મોટા ભાગના લોકો હોમ ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે.
અહીં ન માત્ર અમવાદ અને વડોદરામાં જ પરંતુ સુરત અને રાજકોટ સહિતના રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે તંત્ર તૈયાર છે. જોકે અહીં રાજ્યના તમામ તબીબોની માત્ર જનતાને એક જ અપીલ છે કે, બેદરકાર ન બનો અને ગંભીર બની સાવધાન રહો. જેથી કરીને કોરોનાનો મક્કમતાથી સામનો કરી શકાય.અને ત્રીજી લહેરને હરાવી શકાય.