પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત વર્તાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદ. રાજ્યમાં ખાતરની કોઈ તંગી નથી અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ. સરકાર ખોટ ખાઇને સસ્તુ ખાતર આપે છે
સંઘાણીએ કહ્યું, સરકાર ખોટ ખાઈને સસ્તું ખાતર આપે છે
ગુજરાતમાં ખાતરની તંગી હોવાની બૂમરાણ વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હાલ રાજ્યમાં ખાતરની કોઈ તંગી નથી અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ મુદ્દે સ્થાનિક કક્ષાએ ખરીદનાર-વેચનાર વચ્ચે અસમંજસ હોઇ શકે છે. ખાતરની સાથે અન્ય કોઇપણ વસ્તુઓનું વેચાણ ન કરી શકાય અને આ ઉપરાંત ખાતર ન મળે તો મને ફરિયાદ કરજો, હું તાત્કાલિક પગલા લેવડાવીશ.
પાટણમાં ખાતરની ભારે અછત
બીજી તરફ, પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત વર્તાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. નર્મદા ખાતર ડેપો 2 દિવસ બંધ રહેતા ખેડૂતોનો વિરોધ મોટો પ્રમાણમાં થયો છે.નવા ગંજ બજારમાં વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોએ લાંબી કતાર લગાવી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા હતા. ખેડૂતોની સમસ્યાને જોતા ધારાસભ્ય કિરીટ પટેલ પણ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને ખાતરની અછત દૂર કરવા માટે તંત્રને ધારાસભ્યએ અપીલ પણ કરી હતી.
ખાતરની માંગના આધારે કેન્દ્રની ફાળવણી
આ તરફ, ઇફ્કોના ચેરમેન તરીકે વરાયેલા દિલીપ સંઘાણીએ VTV સાથે ખાસ વાતચીત કરતા યુરિયા ખાતર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, યુરિયા ખાતરથી જમીનને નુકસાન થાય છે
અને આ નુકસાન નાં થાય તે માટે નેનો ખાતરની શોધ કરવામાં આવી છે. સસ્તુ ખાતર મળે તે માટે સરકારે સબસિડી વધારી છે તો રો-મટિરીયલનો ભાવ 300 ડોલરથી વધીને 900 ડોલર જેટલા થયા છે. સરકાર ખોટ ખાઇને ખેડૂતોને સસ્તુ ખાતર પુરૂ પાડે છે. રાજ્ય, ખાતરની માંગ કરે તે આધારે કેન્દ્ર સરકાર ફાળવણી કરે છે. પાટણમાં ખાતરની માંગ વધારે હોવાથી ખાતરની અછત વર્તાઈ રહી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.