આજે પણ એક વર્ગ એવો છે કે નવા ઘરમાં રહેવા જતાં પહેલાં વાસ્તુ નવચંડી કરાવી ઘરને પવિત્ર કર્યા પછી જ તેમાં રહેવા જવા માટે કુંભ મૂકે છે. તો બીજો કેટલોક વર્ગ વાસ્તુદોષમાં સહેજ પણ માનતો જ નથી. તેમને મન આવા ફાલતુ ખર્ચ માટે નાણાં નથી તથા તેમને નવા ઘરમાં રહેવા જવાનો આનંદ આવી રીતે નષ્ટ કરવો પોષાય તેમ પણ નથી. પરંતુ આવા લોકો માટે મને એક સત્ય વાત તદ્દન સત્ય છે કે વાસ્તુ કર્યા વિનાનું ઘર તમને જે સુખ આપે છે તેના કરતાં વાસ્તુ કરાવેલ ઘરમાં રહેવાથી અનેકગણું વધુ સુખ જે તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
જો તમે નવું ઘર બનાવ્યું હોય. તેમાં રહેવા જાવ ત્યારે આનંદને બદલે દુઃખ મળે. ઘરમાં પ્રવેશતાં જ તમામ આનંદ ઊડી જતો હોય કે પછી નવા ઘરમાં રહેવા ગયા પછી કાંઈ કેટલીય તકલીફો આવી પડી હોય તો એટલું ચોક્કસ માનતો કે આ ઘર તમને ફળ્યું નથી. આ માટે તમારે વાસ્તુપૂજા કરાવવી જરૂરી છે. તે તમને શાંતિ આપે છે. અહીં આપણે કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જે જાતે જ કરવાથી ઘરમાં આવતા ઉપદ્રવ શાંત થઈ જાય છે. માનસિક શાંતિ મળે છે. તથા પહેલાં જેવો આનંદ પ્રાપ્ત થાય છે. આવો, આવા સહેલા ઉપાય અજમાવીએ.
• ઘરમાં પ્રવેશવાનું દ્વાર દક્ષિણ દિશાનું હોય, નૈઋત્ય ખૂણાનો દરવાજો હોય, ઈશાન ખૂણામાં શૌચાલય હોય, ઘરમાં પુષ્કળ કકળાટ, ધનહાનિ, માનભંગ થતો હોય તો ઘરમાં સવાર સાંજ ગંગાજળ છાંટો.
• ઘરમાં પ્રવેશતાં શાંતિ ભંગ થતો હોય તો આ બાબતને વાસ્તુદોષ ગણો. આ માટે તમે બે નદીના સંગમસ્થાનેથી થોડી રેતી લાવો અને ઘરનાં આંગણામાં સવા ફૂટ ઊંડો ખાડો કરી જમીનમાં પધરાવો. તે રેતી ઉપર પુષ્પ, કંકુ, ચંદન તથા ગોરોચનથી અમી છાંટણાં કરી તેના ઉપર થોડુંક ગંગાજળ કે યમુના જળ છાંટો, પછી તે ખાડો માટીથી પૂરી દો. જુઓ તે પછી ચમત્કાર.
• ઘરમાં પ્રવેશતાં જ નકારાત્મક વિચાર આવતા હોય, ખૂબ નાસીપાસ થઈ ગયા હોવ, વાતવાતમાં ગુસ્સો આવી જતો હોય તો ઘરનાં આંગણાંમાં અશોક વૃક્ષનો નાના છોડ વાવી દો. (મને કહેવા દો અશોક વૃક્ષ તથા આસોપાલવ એક કુળનાં વૃક્ષ છે. પરંતુ બંને એક નથી. અશોક વૃક્ષ ખૂબ વિશાળ હોય છે. તેનાં પુષ્પ જોયા પછી બીજું પુષ્પ જોવું પણ ન ગમે તેટલું સુંદર હોય છે. જ્યારે આસોપાલવમાં તેવું નથી.) અથવા આસોપાલવ, આમળી, નારિયેળી, બિલ્વવૃક્ષ, સેવન, તુલસી કે આંબો પણ તમે વાવી શકો. જો આ શક્ય ન હોય તો આમાંથી કોઈ પણ વૃક્ષનો નાનો છોડ કુંડામાં વાવો. તેની શક્ય એટલી કાળજી રાખો. જુઓ વાસ્તુદોષ કેવો દૂર થઈ જાય છે.
• ઘરનાં આંગણાંમાં કાંટાળા છોડ, વૃક્ષ જેવા કે કેકટસ, ગોરસ આંબલી ન વાવો. દૂધાળાં છોડ કે વૃક્ષ પણ ન વાવો. જેવા કે પીળી કરેણ, ચંપો, આવા છોડ વૃક્ષ હોય તો દૂર કરો. તે પછી જુઓ તમારી કેવી ચડતી થાય છે. સમાજમાં, નોકરીમાં તમને કેવો મોભો મળે છે તે.
• ઘરનાં આંગણાંમાં કે કમ્પાઉન્ડમાં પોઈનો વેલો કદી વાવશો નહીં. પોઈ વાવવાથી સઘળું સુખ ચાલ્યું જાય છે. ઘરમાં એક સાથે અનેક મુસીબત આવી ચડે છે. ‘જેણે વાવી પોઈ તે પોકે પોકે રોઈ’
•નવા મકાનમાં પ્રવેશતી વખતે નવ વર્ષની કુમારિકાના હાથે આંગણામાં કે કુંડામાં તુલસીનો એક છોડ અવશ્ય રોપાવડાવો, જેથી તમને ઘરમાં પુષ્કળ સુખ મળશે. તમે ઘણા સુખી થશો.
• નવા ઘરમાં પ્રવેશતાં જ અણધારી આફતો આવી પડતી હોય તો, કામકાજ મંદા થવા લાગ્યાં હોય તો ઘરમાં ગમે ત્યાં, બને તો આંગણાંમાં એક તુલસી ક્યારો બનાવી તેમાં સવા
રૂપિયો તે કયારાની માટીમાં પધરાવી દો. આવેલી તકલીફો દૂર થઈ જશે.