4 મહિનાના વેકેશન બાદ આજથી ફરી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન શરૂ થયા છે. પહેલા જ દિવસે જંગલ સફારીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. પહેલા દિવસથી જ સિંહ દર્શન માટેની 3 નવેમ્બર સુધીની તમામ પરમિટ બુક થઈ ગઈ છે.
ગીરમાં આજથી સિંહ દર્શન ફરી શરૂ
પહેલા જ દિવસે જંગલ સફારીનું બુકિંગ ફૂલ
3 નવેમ્બર સુધીની તમામ પરમિટ બુક થઈ
દિવાળી વેકેશનના કારણે દરરોજની 30 પરમીટ વધારાઈ
16 ઓક્ટોબરથી એટલે આજથી ગિરનાર નેચર સફારી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પહેલા દિવસથી જ સિંહ દર્શન માટેની 3 નવેમ્બર સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થઈ ગયું છે. જેના કારણે આ વખતે દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને દરરોજની 30 પરમીટ વધારવામાં આવી છે. વધુ લોકો સિંહ દર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટ અને પરમિટની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવતા દરરોજની 30 પરમીટ વધારવામાં આવી છે.
ચાર માસનું વેકેશન પૂર્ણ
વન વિભાગ દ્વારા ગીરમાં દર વર્ષે 16 જૂનથી અભ્યારણ્યમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થયું છે. આજે વહેલી સવારે પ્રથમ ટ્રીપમાં સિંહદર્શન માટે આવેલા પર્યટકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે 6.30 વાગ્યે પ્રથમ ટ્રીપ ગીર સાસણ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જવા રવાના થઈ હતી.
ડ્રાઈવરો અને ગાઈડ્સને આપવામાં આવી છે ટ્રેનિંગઃ DFO
આ અંગે DFO મોહન રામે જણાવ્યું કે, ચાર મહિનાના વેકેશન બાદ આજથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. પહેલા પ્રવાસીઓ સાસણ ગીરમાં આવે છે, બાદમાં તેમની ફોર્માલિટી પૂર્ણ કરીને તેમને જંગલ સફારીમાં લઈ જવામાં આવે છે. તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે એ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રાઈવરો અને ગાઈડ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી પ્રવાસીઓને સારો અનુભવ મળી શકે. સાથે જ અંદર પ્લાસ્ટિકની પાણીની બોટલ લઈ જવાની મનાઈ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રિયુઝેબલ બોટલ પ્રવાઈડ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષમાં 16 ઓક્ટોબર 2021થી 15 જૂન 2022 સુધીમાં ભારતીય 4,233 અને વિદેશી 20 મળી કુલ 4,253 પ્રવાસીઓએ ગિરનાર નેચર સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા, જેના કારણે વન વિભાગને 8,72,375 રૂપિયાની આવક થઇ હતી.