થોડા સમય પહેલા અમેરિકામાં બે લાખ જેટલા પીડિયાટ્રીક કેસનો અભ્યાસ કરતાં જાણવા મળ્યુ હતુ કે મોટાભાગના કેસ બાળકોને વધુ પાવરવાળી પેઇનકિલર્સ આપવાના લીધે થતી સાઇડઇફેક્ટ્સથી થયા હતા. આ અભ્યાસ મુદબ બાળકોમાં પેરેન્ટ્સ અને ડોક્ટરની બેદરકારીના કારણે 2005 પછી આવા કેસમાં વધારો થયો છે.
બાળકોને કોઇ પણ પ્રકારના દુખાવામાં રાહત આપવા માટે આપવામાં આવતી પેઇનકિલર્સ તેમને અનેક પ્રકારે નુકશાન પહોંચાડી શકે છે. બાળકોને અવારનવાર અપાતી આઇબુપ્રોફેન અને પેરાસિટામોલ જેવી પેઇનકિલર્સનો ઉપયોગ કરતી વખતે થોડી તકેદારી જરુરી છે.
બાળક એક વર્ષથી નાનુ હોય ત્યારે ટીપાના માપ વડે અને થોડુ મોટુ થાય એટલે મિલીમાં દવા અપાય છે. બાળક આ માપ જાતે નક્કી ન કરી શકે.
બાળકોને સામાન્ય રીતે દુખાવો કે ઇન્ફેક્શન થાય ત્યારે પેઇન રિલીવર્સ આપવામાં આવે છે. જો બાળક એક વર્ષથી નાનુ હોય તો તેને પેઇનકિલર્સ આપવાનુ બને ત્યાં સુધી ટાળવું જોઇએ.
પેરાસિટામોલ એન્ટિપાયરેટિક મેડિસિન છે, જ્યારે આઇબુપ્રોફેન અને એસ્પરિન એનલ્જિઝક દવાઓ છે, તેથી શક્ય હોય ત્યાં સુધી બાળકો માટે પેરાસિટામોલનો જ પ્રયોગ કરવો જોઇએ.
બાળક પેઇનમાં હોય તો તેને ડોક્ટરની સલાહ વગર કોઇ પેઇન રિલીવર ન આપો, તે માત્ર પેઇન ઘટાડશે. દુખાવાનુ કારણ જાણીને તેનુ નિદાન નહીં કરી શકે
પેરાસિટામોલના બે ડોઝ વચ્ચે 4થી 6 કલાકનું અંતર હોવું જોઇએ. 24 કલાકમાં 4થી વધુ વખત દવા ન આપી શકાય.
પેઇન રિલીવર જો ભુખ્યા પેટે આપવામાં આવે તો પણ તેની ગંભીર અસરો થઇ શકે છે. બાળકને દવા આપો તો તેનું પેટ ભરેલુ હોય તે જરુરી છે.
દવાઓનો ઓવરડોઝ બાળકના મોતનું કારણ પણ બની શકે છે. સાઇડ ઇફેક્ટ્સમાં લાંબા ગાળે કિડની, લિવર પર પણ માઠી અસર પડી શકે છે. બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
બાળકોને દુખાવાથી તડપતા ન જોઇ શકો એ વાત સાચી, પરંતુ દરેક દુખાવા માટે પેઇનકિલર આપવાની ભુલ ઘાતકી સાબિત થઇ શકે છે.