છત્તીસગઢના કોરબાના કેટલાક હોનહાર વિદ્યાર્થીઓએ કમાલની ટેક્નિક શોધી કાઢી છે. મેઘાવી પ્રતિભા ધરાવતા આ વિદ્યાર્થીઓએ કારની ડ્રાઈવિંગ સીટ સામેની કંટ્રોલ પેનલમાં એક સ્પેશિયલ સેન્સર લગાવી દીધું છે. આ સેન્સર નિયત માત્રા કરતા વધુ આલ્કોહોલની ગંધ પારખીને કારને તુરંત લોક કરી દેશે. તેનાથી ઈગ્નિશન તો ઓલ થશે, પરંતુ એન્જિન સ્ટાર્ટ જ નહીં થાય.
નશામાં ધૂત થઈને વાહન ચલાવનારા લોકો પોતાની સાથે બીજા લોકોની જિંદગી પણ દાવ પર લગાવી દેતા હોય છે. રોડ પર નશામાં ઝડપની મજા લઈને નિર્દોષ લોકોને મોતની સજા આપનારા પણ ઓછા નથી. એક તરફ દેશમાં રોડ એક્સિડન્ટના કારણે થતા મોતની સંખ્યા સતત વધી રહી છે ત્યારે છત્તીસગઢના કોરબાના કેટલાક હોનહાર વિદ્યાર્થીઓએ કમાલની ટેક્નિક શોધી કાઢી છે.
મેઘાવી પ્રતિભા ધરાવતા આ વિદ્યાર્થીઓએ કારની ડ્રાઈવિંગ સીટ સામેની કંટ્રોલ પેનલમાં એક સ્પેશિયલ સેન્સર લગાવી દીધું છે. આ સેન્સર નિયત માત્રા કરતા વધુ આલ્કોહોલની ગંધ પારખીને કારને તુરંત લોક કરી દેશે. તેનાથી ઈગ્નિશન તો ઓલ થશે, પરંતુ એન્જિન સ્ટાર્ટ જ નહીં થાય. સૌ પહેલા તો કારમાં એક બઝર વાગશે, જે ડ્રાઈવરને કાર ન ચલાવવા એલર્ટ કરશે. ત્યારબાદ સિસ્ટમ ડ્રાઈવર નશામાં હોવાની જાણકારી પોલીસ, વાહનનાં માલિક અને તેમનાં પરિવારજનોને એસએમએસ (મેસેજ)ના માધ્યમથી પહોંચાડશે.
ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઈટી કોલેજ) કોરબામાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (ઈઈઈ)નાં પાંચ વિદ્યાર્થીઓએ તેમનાં આઠમા સેમેસ્ટરના મેજર પ્રોજેક્ટ હેઠળ આ ડિવાઈસ કમ સેન્સર તૈયાર કર્યું છે. ‘આલ્કોહોલ સેન્સિંગ પ્રોજેક્ટ વિથ એન્જિન લોક એન્ડ એસએમએસ એલર્ટ સિસ્ટમ’ પર કામ કરનારા આ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમને માઈનોરથી શરૂઆત કરીને મેજર પ્રોજેક્ટ સુધી પહોંચવામાં કુલ આઠ મહિનાનો સમય લાગ્યો હતો.
ગાઈડ ટીચર, આઈટી કોલેજનાં રજિસ્ટ્રાર અને એચઓડી પ્રણય રાહીનાં માર્ગદર્શનમાં ‘ટ્રિપલ ઈ’ના વિદ્યાર્થીઓ મનોજસિંહ, તૃપ્તિ કુર્રે, દિપ્તી રાઠોડ, અંજલી ગુપ્તા અને મંજૂ રાજપૂતે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આલ્કોહોલ એનેલાઈઝરમાં ઈન્ડિયન ટ્રાફિક રૂલ્સ અનુસાર, 0.05 એમએમ પ્રતિલીટરની લિમિટને ફોલો કરવામાં આવી છે. આ સિસ્ટમનાં સેન્સરની સાથે એક સિમકાર્ડ પણ ફિટ કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ અલગ નંબરનાં ડેટા સેટ કરી શકાય છે. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની ખબર પડે કે તુરંત જ પોલીસ સહિતનાં આ પાંચ મોબાઈલ નંબર પર તેની જાણકારી મોકલી દેવામાં આવશે અને કાર પણ લોક થઈ જશે.
કઈ રીતે કામ કરશે આ ખાસ સેન્સર?
- 0.05 એમએમ પ્રતિલીટરની લિમિટ કરતા વધુ આલ્કોહોલ હશે તો બઝર તાત્કાલિક ડ્રાઈવરને એલર્ટ કરશે.
- ઈગ્નિશન ઓન થયા બાદ સેમ્પલ લીધા વગર કાર સ્ટાર્ટ જ નહીં કરી શકાય.
- આલ્કોહોલ નક્કી કરાયેલી લિમિટથી વધુ હશે તો એન્જિન તુરંત લોક થઈ જશે.
- એક કલાક બાદ સિસ્ટમ રિસેટ થાય અને નશો ઉતરે ત્યારે ડ્રાઈવર ફરીથી સેમ્પલ આપી શકે છે.
- પાંચ મોબાઈલ નંબર સેટ કરીને તેના પર ‘એન્જિન ઈઝ લોક, બિકોઝ આલ્કોહોલ લિમિટ ઈઝ હાઈ’નો મેસેજ મોકલી દેવામાં આવશે.