નિયમિત કસરત કરવી શરીર માટે કેટલી જરુરી છે તે તો આપણે જાણીએ જ છીએ. છતાં પણ આપણે કરતા નથી. આપણી આસપાસ પણ એવા ઘણા લોકો મળી જશે જે એકાદ બે દિવસ કે એકાદ વીક વ્યાયામ કર્યા બાદ છોડી દેતા હોય છે. તેમને કસરત કરવાની મજા આવતી નથી.
કસરત કરવાથી લાગતો થાક અને તેમાં આવતો કંટાળો કેટલીક વ્યક્તિઓને કસરતથી દુર લઇ જાય છે. તાજેતરના અભ્યાસમાં સંશોધકોએ કસરત કે કોઇ પણ પ્રકારના વ્યાયામથી આવતા કંટાળાને દુર કરવાનો ઉપાય સુચવ્યો છે.
સંશોધનોમાં જાણવા મળ્યુ છે કે સંગીતના કારણે વ્યક્તિને કસરતનો કંટાળો આવતો નથી અને તેના કારણે વ્યાયામની અસર પણ વધી જાય છે. અભ્યાસ દરમિયાન એવા લોકોને પસંદ કરાયા જે લોકો સવારે કસરત કરતા ન હતા. કોઇ પણ વ્યક્તિને કસરત અને સંગીત અંગે જણાવવામાં આવ્યુ ન હતુ. તેમને એ પસંદ કરવાનો મોકો અપાયો કે તેઓ કેવું સંગીત સાંભળવા ઇચ્છે છે. એક વાર તેમને સંગીત વગર વ્યાયામ કરવાનું કહેવામાં આવ્યુ.
વ્યાયામ બાદ તમામ લોકોને તેમના અનુભવ અંગે પુછવામાં આવ્યુ. તેમને એમ પણ પુછાયુ કે તેમને કેટલો થાક લાગ્યો અને કેટલો કંટાળો આવ્યો. વ્યાયામ દરમિયાન તેમના શરીરની ગતિવિધિઓ પર પણ નજર રખાઇ. તમામ આંકડાઓ પરથી સંશોધકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંગીતથી વ્યાયામ પર ફર્ક પડે છે.
સંશોધનમાં ભાગ લેનાર લોકોએ ઓછો થાક અનુભવ્યો અને તેમણે શારીરિક રીતે પણ વધુ શ્રમ કર્યો. તેમાં સંગીતના પ્રકારનો પણ ફર્ક જોવા મળ્યો. જે વ્યક્તિની આસપાસ ઉત્સાહિત કરતુ સંગીત વાગતુ હતુ તે વિચાર્યા વગર તેની સાથે તાલ મિલાવતા હતા. તેમનું મન સંગીત તરફ રહેવાના કારણે તેમને થાક કે કંટાળાનો અનુભવ ન થયો. બિલકુલ શાંતિ હોય ત્યારે વ્યક્તિને થાક અને કંટાળાનો અનુભવ થવો સ્વાભાવિક છે.