રોજે રોજ નવી નવી ટેકનિક આવી રહી છે. જૂનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને ફેંકીને નવાં અપનાવવાની પ્રક્રિયાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સામાનની લાઇફ પણ વધુ હોતી નથી. તે ખૂબ જ જલદી બેકાર થઈ જાય છે.
ઇ-વેસ્ટનો નિકાલ શોધવો અત્યંત જરૂરી
વર્ષ 2019માં દુનિયામાં 5.36 કરોડ મેટ્રિક ટન કચરો પેદા થયો
વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં લગભગ ૩૮ ટકા સુધીનો વધારો થશે
યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના રિપોર્ટમાં દાવો
આજે દેશ અને દુનિયામાં ઉપયોગમાં લેવાતાં ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ બેકાર થયા બાદ વાતાવરણને ઝેરિંલુ બનાવી રહ્યાં છે. તેનાથી સમગ્ર વિશ્વમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત ખતરો વધી રહ્યો છે. જો ખૂબ જ જલદી તેનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આ સમસ્યા આખી દુનિયાને ભયાનક તબાહી તરફ લઇ જશે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી તરફથી જારી કરાયેલા એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં દુનિયામાં ૫.૩૬ કરોડ મેટ્રિક ટન કચરો પેદા થયો હતો. અનુમાન છે કે વર્ષ ૨૦૩૦ સુધી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં લગભગ ૩૮ ટકા સુધીનો વધારો થશે.
ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો બેકાર થયા બાદ ઈ-કચરો કહેવાય છે
કોઇ પણ ઇલેકટ્રોનિક્સ સામાન જેમ કે મોબાઇલ ફોન, ટીવી, ફ્રીઝ, કમ્પ્યૂટર કે અન્ય ઉપકરણો બેકાર થયા બાદ ઇ-કચરો કહેવાય છે. તેને બે વ્યાપક શ્રેણીમાં વહેંચવામાં આવે છે. એક માહિતી અને પ્રસારણ ઉપકરણ અને બીજું વિદ્યુત અને ઇલેકટ્રોનિક્સ ઉપકરણ. દુનિયાભરમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના ઉપયોગની સાથે ઇલેકટ્રોનિક્સ કચરો પણ વધી રહ્યો છે. આજકાલ રોજે રોજ નવી નવી ટેકનિક આવી રહી છે. જૂનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને ફેંકીને નવાં અપનાવવાની આ પ્રક્રિયાનું પ્રમાણ વધી રહ્યું છે. આ ઉપરાંત આ ઇલેક્ટ્રોનિક સામાનની લાઇફ પણ વધુ હોતી નથી. તે ખૂબ જ જલદી બેકાર થઇ જાય છે. આ રીતે ઇ-વેસ્ટ વધતો જ જાય છે. આ પ્રોડક્ટનાં રિપેરિંગનો ખર્ચ ખૂબ જ વધુ હોય છે, તેથી લોકો તેને ઠીક કરાવવાને બદલે બીજું લેવાનું પસંદ કરે છે.
... તો આટલા કરોડ રૂપિયાનો ફાયદો થયો હોત
એક આંકડા મુજબ વર્ષ ૨૦૧૯માં જો ઉત્પાદિત કુલ ઇલેક્ટ્રોનિક કચરાને રિસાઇકલ કરવામાં આવ્યો હોત તો કુલ ૪૨૫૮૩૩ કરોડ રૂપિયાનો ફાયદો થાત. આ આંકડો દુનિયાના કેટલાય દેશોના જીડીપી કરતાં પણ વધુ છે. ઇલેક્ટ્રોનિક ક્રાંતિએ વિવિધ શોધનાં માધ્યમથી સંચાર તંત્રને વિકસાવ્યું અને આપણા જીવનને સુખ સુવિધાઓથી ભરી દીધું. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનાં નિર્માણથી માનવ સભ્યતાને નવો આયામ આપવામાં આવ્યો. સાથે સાથે વ્યાવસાયિક ક્ષેત્રમાં રોજગારના અનેક અવસરો પેદા થયા છે, પરંતુ તેનાથી ઉત્પન્ન થતો ઇ-વેસ્ટ આપણાં પર્યાવરણને અને આપણાં આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યો છે.
ઈ-વેસ્ટમાં કેટલાંય ઝેરીલા પદાર્થો સામેલ
ઇ-વેસ્ટમાં ભારે ધાતુઓ અને અન્ય પ્રદૂષિત પદાર્થો જેમકે પારો, કેડમિયમ અને ક્રોમિયમ જેવાં કેટલાય ઝેરિલા પદાર્થો સામેલ છે. તેનો સુરક્ષિત નિકાલ થઇ શકતો નથી. તે માટી અને ભૂગર્ભ જળને દૂષિત કરે છે. ઇલેક્ટ્રોનિક સામાનના મોટાભાગના અવયવોમાં બાયોડિગ્રેડેબલ હોવાની વિશેષતા હોતી નથી અને તેમાં માટીમાં મિક્સ થઇ જવાનો ગુણ પણ હોતો નથી. તે ઘણાં બધાં રાસાયણિક તત્ત્વ અને યૌગિકો મળીને બન્યું હોય છે. એક સેલ્યુલર ફોનમાં ૪૦ કરતાં વધુ તત્ત્વ હોય છે. ઇ-વેસ્ટમાં મુખ્ય લોખંડ, સિસા, ઝિંક, આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ, સેલેનિયમ, રુથેનિયમ જેવી ધાતુઓ હોય છે. ભારતમાં ઇ-વેસ્ટના નિકાલ માટે ૧૬ કંપની છે, પરંતુ તેમની ક્ષમતા ૬૬,૦૦૦ મેટ્રિક ટનની જ છે. આ કંપનીઓ દ્વારા દેશમાં રહેલા કુલ ૧૦ ટકા ઇ- વેસ્ટનો જ નિકાલ થઇ શકે છે. એક સંશોધન અનુસાર અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૫ સુધી ૧૦૦૦ મિલિયનથી પણ વધુ કમ્ય્યૂટરનાં રિસાઇકલિંગની વ્યવસ્થા કરવી પડશે. એક દાયકામાં ભારતમાં ૧૩૦ મિલિયન ડેસ્કટોપ અને ૯૦૦ મિલિયન લેપટોપ ઇ-વેસ્ટ બની જશે. જેનો નિકાલ કરવો સરળ નહીં હોય.
આપણા દેશમાં કમ્પ્યૂટરનો ઇ-વેસ્ટ લગભગ ૩૩ ટકા
આપણા દેશમાં કમ્પ્યૂટરનો ઇ-વેસ્ટ લગભગ ૩૩ ટકા છે. તેનુ રિસાઇકલિંગ ઉચિત દિશા-નિર્દેશનો અંતર્ગત થવું જોઇએ. જોકે પ્રાઇવેટ કંપનીઓ ઇ-વેસ્ટનું નિરાકરણ કરતી વખતે પ્રોટોકોલનું યોગ્ય પાલન કરી શકતી નથી. માત્ર દિલ્હીમાં દર વર્ષે બે લાખ ટન ઇ-વેસ્ટ ઉત્પન્ન થાય છે. તેમાં ઘણી વાર આગ લાગવા જેવી દુર્ઘટનાઓ થઇ ચૂકી છે. હવે દિલ્હી સરકારે દિલ્હીમાં ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ ઇકોફ્રેન્ડલી પાર્ક સ્થાપવાનું નક્કી કર્યું છે. આ પાર્કને ૨૦ એકરમાં બનાવાયો છે. તેમાં બેટરી, ઇલેક્ટ્રોનિક્સ સામાન, લેપટોપ, ચાર્જર, મોબાઇલ અને પીસી માટે સેકન્ડેડ બજાર પણ બનાવાશે. ઇ-વેસ્ટને ચેનલાઇઝ કરવા માટે ૧૨ ઝોનમાં કલેક્શન સેન્ટર બનાવવામાં આવશે. આ ઇલેક્ટ્રોનિક્સ કચરાને એકત્ર કરનારા લોકોને ટ્રેઇનિંગ પણ અપાશે અને આ કાર્ય માટે યોગ્ય સાધનો પણ આપવામાં આવશે. જો ભારતમાં ઇ-વેસ્ટનું યોગ્ય નિયંત્રણ અને મેનેજમેન્ટ થાય તો દેશના આર્થિક વિકાસમાં પણ મદદ મળી શકે.