કશ્મીરના પુલવામામાં થયેલાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવામાં ચીને ફરી વિટો વાપરીને ઠરાવ અટકાવ્યો છે. ભારત છેલ્લાં દશ વર્ષથી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવાની માગ કરી રહ્યું છે. યુનોમાં આ મુદ્દે ચાર-ચાર વખત ઠરાવ આવ્યા છે. દરેક વખતે ચીને પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે અને ચારેય વખત મસૂદને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર થતાં અટકાવી દીધો છે. આખરે ચીનને મસૂદ પર આટલો પ્રેમ કેમ છે?
ચીને દરેક વખતે કર્યો સત્તાનો દુરુપયોગ
સૌથી પહેલા ૨૦૦૯માં મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવા યુનોમાં ઠરાવ મૂકાયો હતો. બાદમાં ૨૦૧૬માં ફરી એકવાર ભારતે અમેરિકા, યુકે, ફ્રાન્સ સાથે મળીને મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ યુનોમાં મૂક્યો, પરંતુ ચીને આ ઠરાવને રોક્યો હતો. ૨૦૧૭માં ફરી એકવાર યુનોમાં આ જ દેશોએ મસૂદ વિરુદ્ધ ઠરાવ મૂક્યો ત્યારે પણ ચીને પોતાનો વિટો વાપર્યો હતો. હવે ૨૦૧૯માં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ૧૫ દેશોએ યુનો સમક્ષ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી. ત્યારે ફરી એકવાર ચીને યુનોને કહ્યું કે, આ મુદ્દે તપાસ કરવા માટે ચીનને સમય જોઇએ છે અને ઠરાવ ફરી પાછો ઠુકરાવી દીધો. યુનોએ એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે. જેમાં આજે દુનિયામાં ૧૯૩ દેશો તેના સભ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો તરીકે ઓળખાતી આ સંસ્થાની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ઇંગ્લેંડ, ફ્રાન્સ, રશિયા અને ચીન એમ પાંચ દેશો કાયમી સભ્યો છે.
મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગે તો ચીનને શું ફરક પડે?
ત્યારે મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગે તો આટલાં મોટાં ચીનને શું ફરક પડે? ચીન આ મુદ્દે ભારતને શા માટે નારાજ કરે છે? જ્યારે ચીનનો ભારત સાથે વેપાર ખૂબ મોટો છે ત્યારે એક આતંકીને બચાવવાની ચીનને શું જરૂર પડી? આ સવાલોનો જવાબ એ છે કે, ચીન ભારતને દબાવવા માગે છે અને તેના કરતા પણ વધારે અગત્યની વાત પાકિસ્તાનને પંપાળવા માગે છે. મસૂદ અઝહર જો ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર થાય તો તેમાં પાકિસ્તાનની આબરૂ જાય તેમ છે. ચીનને રસ એ છે કે, પાકિસ્તાન પોતાના ખંડિયા દેશ તરીકે ચાલુ રહે. ચીનનું ૭ લાખ કરોડ ડોલરનું રોકાણ અત્યારે પાકિસ્તાનમાં છે. અત્યારે આખી દુનિયામાં પાકિસ્તાનની પડખે ઊભેલો કોઇ દેશ હોય તો તે ચીન છે, તેનું કારણ એ છે કે ચીનનું ખૂબ જ મોટું આર્થિક હિત પાકિસ્તાન સાથે જોડાયેલું છે. જેના કારણે ચીન પાકિસ્તાનને આ પ્રકારે મદદ કરી રહ્યું છે અને આતંકીના આકાને છાવરી રહ્યું છે.