અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ચુકવવામાં ધાંધીયા કરતા બાકીદારો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેકસ મામલે AMC ની કાર્યવાહી
પ્રોપર્ટી ટેક્ષ ન ભરતા એકમો સામે તવાઈ
એક દિવસ માં amc ને ટેક્ષની 3.41 કરોડ આવક થઈ
અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેકસ મામલે AMCએ લાલ આંખ કરી છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષ ન ભરતા એકમો સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને એક સામટા 290 મિલકતોને સીલ કરવામાં આવી હતી. જેમાં શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવ આદિત્ય આર્કેટ, શીલજ ભવ્ય કોમ્પલેક્ષ બોપલ સહિતની દુકાનોને સિલ કરવામાં આવી છે. બીજી બાજુ એક જ દિવસમાં amc ને ટેક્ષની 3.41 કરોડની આવક થવા પામી છે.
આજે વધુ 21 મિલકતો શીલ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી. જે દરમિયાન ગઈકાલે વિડીયોકોન, આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા, પાલડી, સત્યમ એપાર્ટમેન્ટ, સોલા, સરદાર પટેલ નગર, ચેનપુર, એસ.વી.સ્કેવર, ન્યુ રાણીપ, મધુર કોમ્પલેક્ષ, નારણપુરા, ફોરડી સ્કેવર, ગાંધીનગર મળી કુલ ૬૯ સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી પશ્ચિમ ઝોનની કુલ ૧.૧૯ કરોડ આવક થઈ છે. તથા તા.૧૮-૦૧-૨૦૨૩ ના રોજ કુલ ૨૧ મિલકતોને સીલો મારવામાં જેમાં આજે ૧૮-૦૧-ના રોજ ૧.૦૧ કરોડ આવક થઈ છે. આજે સાબર એવન્યુ, નવરંગપુરા, સિમંધર, ચાંદખેડા, કુંજન કોમ્પલેક્ષ,નવરંગપુરા, અભીશ્રી એવન્યુ, આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી, ચેનપુરમાં કાર્યવાહી કરાઈ હતી.
તથા મ્યુનિસિપલ ટેક્ષ નોટીસો કે ચેતવણીઓ પ્રત્યે ગંભીરતા ન દાખવતા ડિફોલ્ટરો સામે આકરી કાર્યવાહી હાથ ધરાશે. ત્યારબાદ મિલકતો જપ્ત કરી ટાંચમાં લઇ હરાજી તથા વેચાણ જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા
બીજી બાજુ ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની સુચનાથી આજે બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો ઉપર ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીલેશ્વર ઈન્ડ.એસ્ટેટ, ઓઢવ, કેશવ ગાર્ડન રેસ્ટોરન્ટ,નવા નરોડા, સમૃધ્ધિ કોમ્પલેક્ષ,નવા નિકોલ, આબાદ એસ્ટેટ, રખિયાલ, અક્ષરધામ રેસી એન્ડ કોર્મશિયલ વસ્ત્રાલ સહિત ૭૮ એકમોને સહિત ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા છે. ભવિષ્યમાં પણ આકરી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટેક્ષ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.