સરકાર મંજૂરી આપે તો ભારત પોતે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરી શકે
ક્રૂડ ઓઈલની આયાત પર 75 ટકા સુધીની બચત થઈ શકે
પેટ્રોલિયમ જરૂરિયાતો માટે આયાત પર નિર્ભરતાને કારણે ભારતને અનેક મોરચે નુકસાન સહન કરવું પડે છે. મંગળવારે રૂપિયો પ્રથમ વખત ડોલર સામે 80ને પાર કરી ગયો, તેનું મુખ્ય કારણ પણ ક્રૂડ ઓઈલ છે. આ દરમ્યાન વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે એક એવું સૂચન કર્યું છે, જેને જો સરકાર સ્વીકારે તો ક્રૂડ ઓઈલની આયાત પર 75 ટકા સુધીની બચત થઈ શકે છે.
અનિલ અગ્રવાલે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે, જો સરકાર ખાનગી ક્ષેત્રને સંશોધન અને ઉત્પાદનમાં વધુ ભાગીદારીની મંજૂરી આપે તો ભારત પોતે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરી શકે છે. જે આયાતી ક્રૂડ ઓઈલની સરખામણીએ ત્રણ-ચતુર્થાંશ સસ્તું થશે. મેટલ અને એનર્જી સેક્ટરમાં બિઝનેસ કરતા અનિલ અગ્રવાલ દેશના કુદરતી સંસાધનોના મહત્તમ ઉપયોગ માટે ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારીની હિમાયત કરી રહ્યા છે.
પ્રત્યેક લિટર માટે લગભગ 12 રૂપિયા ખર્ચવા પડશે
હાલમાં ભારત સરેરાશ 100 ડોલર પ્રતિ બેરલના દરે ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યું છે. એક બેરલમાં લગભગ 159 લિટર ક્રૂડ ઓઈલ હોય છે. આ રીતે ભારતને હાલમાં બહારથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર એક લીટર માટે લગભગ 50 રૂપિયા ખર્ચવા પડે છે. જો અનિલ અગ્રવાલનું માનીએ તો સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ તેલ ચોથા ભાગની કિંમતમાં ઉપલબ્ધ થશે. આનો અર્થ એ છે કે, સ્થાનિક ક્રૂડ ઓઇલના કિસ્સામાં સરકારને એક બેરલ પર લગભગ $ 25 એટલે કે પ્રત્યેક લિટર માટે લગભગ 12 રૂપિયા ખર્ચવા પડશે. જો ક્રૂડ ઓઈલ સસ્તુ થશે તો સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે, કારણ કે ડીઝલ-પેટ્રોલ પણ આ જ રેશિયોમાં સસ્તું થશે.
અગ્રવાલે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત આયાતની કિંમતના એક ક્વાર્ટરમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી શકે છે. જેમ સરકારને પ્રતિ બેરલ $26ના દરે તેલ આપી રહી છે. અમારો આર્થિક વિકાસ પરંપરાગત ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ બંને દ્વારા ચાલે છે. અમારા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોને ડર્યા વગર કામમાં ઉર્જા લગાવવા માટે પ્રોત્સાહિત કરવાથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને સરકારને મોટી આવક થશે.
આ પહેલીવાર નથી જ્યારે અનિલ અગ્રવાલે ભારતને ઉર્જા સુરક્ષા પર તાત્કાલિક કામ કરવાની હિમાયત કરી હોય. તેઓ કોલસાના ખાણને ખુલ્લું બનાવવા અને ખાનગી તેલ અને ગેસ કંપનીઓને સમાન ક્ષેત્ર આપવા માટે હિમાયત કરી રહ્યા છે. તેમણે તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'જો સ્થાનિક ઉત્પાદન સારું છે તો તે દેશને વૈશ્વિક કટોકટીથી બચાવશે. ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરશે, મોટી સંખ્યામાં લોકોને નોકરીઓ પ્રદાન કરશે અને વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.