મહેસાણામાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોની પ્રેમ લગ્ન કરવા મુદ્દે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં દિકરીઓ દ્વારા પ્રેમ લગ્ન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો દિકરી પ્રેમ લગ્ન કરે તો માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં આ બાબતે કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે.
27ઑગષ્ટે યોજાશે મહાસંમેલન
કડવા પાટીદાર સમાજનું 27 ઓગસ્ટના રોજ મહાસંમેલન યોજાશે. તમામ સમાજ પાસેથી આ બાબતે ઠરાવ મંગાવવામાં આવ્યા. પુખ્તવયે પણ દિકરી પ્રેમલગ્ન કરે તો માતા પિતાની સહી ફરજિયાત લેવી. માતા-પિતાની સંમતિ વિના લગ્નની ઉંમર 25 વર્ષ કરવા માગ કરવામાં આવી છે. તેમજ આવી દીકરીઓને માતા-પિતાની મિલકતમાં ભાગ ન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ પણ ચોરાસી પાટીદાર સમાજે પણ બતાવી હતી તૈયારી
ઉલ્લેખનીય છે કે અગાઉ ચોરાસી પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન કરતી દિકરીઓ વિરુદ્ધ આકરા પગલા લેવાની તૈયારી બતાવી હતી. દીકરી ભાગી લગ્ન કરે ત્યારે નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. આ અંગે મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી. જેમાં માતા પિતાની સંમતિ વિના લગ્ન કરીને ભાગી જતી દિકરીઓ માટે કાયદો બનાવવો. જો માતા પિતા સહીની સંમતિ ન આપે તો મિલકતમાંથી નામ નીકળી જાય તેવો કાયદો બનાવવા અંગે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ પ્રકારની માગ અગાઉ SPG દ્વારા પણ કરવામાં આવી હતી. તેઓએ પણ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી હતી.