કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવ્યો છે. શેરબજાર, બોલિવૂડ અને સ્પોર્ટસ ઈવેન્ટ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ IPL 2020નાં શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં જો IPL રદ્દ કરવાની નોબત આવે તો ભારતીય ક્રિકેટ બોર્ડને બજો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.
BCCIએ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી IPL
IPL રદ્દ થાય તો BCCIને દસ હજાર કરોડનું નુકસાન થશે
કોરોના વાયરસના ભરડામાં વિશ્વની સ્પોર્ટસ ઈવેન્ટ્સ
...તો નહીં રમાય IPL
IPLનાં એક અધિકારીએ એક સ્પોર્ટસ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના વાયરસનાં કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હાલ તો તારીખ બદલવામાં આવી છે. બધું ઠીક રહેશે તો 20 એપ્રિલની આસપાસ IPL શરુ કરી દેવામાં આવશે જેનો નિર્ણય 10મી એપ્રિલ સુધી લેવાઈ શકે છે. પરંતુ જો 20મી એપ્રિલ સુધી લીગ શરુ થતી નથી તો તેને આવતા વર્ષ ટાળવામાં આવશે.
BCCIને લગભગ 10 હજાર કરોડનું નુકસાન થશે
કોરોના વાયરસનાં કારણે જો IPL રદ્દ થાય તો BCCIને અબજો રૂપિયાનું નુકસાન થશે. જો IPL ખાલી સ્ટેડીયમમાં કરવામાં આવે તો દર્શકો દ્વારા મળતી રાશિમાં ભારે નુકસાન થશે. સ્ટાર સ્પોર્ટસે IPLનું સીધું પ્રસારણ કરવા માટે પાંચ વર્ષનાં આશરે 16000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જો IPL રદ્દ થાય છે અથવા તો મેચની સંખ્યામાં ઘટાડો થાય છે તો સ્ટાર સ્પોર્ટસ પણ આ મુદ્દે ફરીથી ચર્ચા વિચારણા કરવા પ્રયત્ન કરશે. એક અહેવાલ મુજબ જો IPL રદ્દ થશે તો BCCIને લગભગ 10 હજાર કરોડનું નુકસાન થશે.
ગઈકાલે કાર્યક્રમમાં કરાયો હતો ફેરફાર
ગઈકાલે જ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPLનાં કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિકેટ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 29 માર્ચના બદલે હવે 15 એપ્રિલથી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે IPLની બધી ટીમ ખાલી સ્ટેડીયમમાં તો મેચ કરાવવા તૈયાર હતી પરંતુ વિદેશી ખેલાડી વગર મેચ રમવા તૈયાર હતી નહીં. ત્યાં બીજી તરફ ભારત સરકારે 15 એપ્રિલ સુધીનાં બધા વિઝા રદ્દ કરી દેતા વિદેશી ખેલાડીઓ અટવાઈ ગયા હતા. જે બાદ આખરે ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
એપ્રિલ મહિનામાં લેવાશે નિર્ણય
હાલમાં મળતી માહિતી અનુસાર એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં કોરોના વાયરસની પરિસ્થિતિ અનુસાર IPL મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ IPLનું આયોજન કરવામાં આવે તો 31 મે સુધી 60 મેચ રમી શકાય એટલો પર્યાપ્ત સમય પણ છે. કોરોના વાયરસનાં કારણે વિશ્વનાં કેટલાય સ્પોર્ટસ ઈવેન્ટ રદ્દ કરવામાં આવ્યા છે. અમુક ઈવેન્ટને સ્થગિત કરવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી 2 મોત થઇ છે.