બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે તેની સાથે જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કરીને અનુરાગ કશ્યપ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોતાનો ખતરો હોવાની વાત કહી હતી. આ ટ્વિટમાં તેણે પીએમ મોદીની મદદ પણ માંગી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર જોરદાર હંગામો થયો હતો. અનુરાગ કશ્યપની બંને પૂર્વ પત્ની સહિત અન્ય બોલિવૂડ એક્ટ્રેસિસ અનુરાગનો સપોર્ટ કરતા જોવા મળી હતી. ત્યારે હવે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે કેસ નોંધાવ્યા બાદ પાયલ ઘોષે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે.
એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર લગાવ્યા ગંભીર આરોપ
એક્ટ્રેસે પોતાને ખતરો હોવાની વાત કહી
હાલમાં જ પાયલે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે
પાયલ ઘોષે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે- અનુરાગ કશ્યપની વિરુદ્ધ મેં એક જાણીતા પોર્ટલને આ ઘટનાથી સંબંધિત ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને પછી મને ખબર પડી કે આ માટે એ લોકોને કશ્યપની મંજૂરીની જરૂર હતી. તેણે આગળ લખ્યું- ભારત, જો હું છત પરથી લટકતી હાલતમાં જોવા મળી તો યાદ રાખજો કે મેં આત્મહત્યા કરી નથી. જોકે, તેની પાસે ડિપ્રેશન અને ડ્રગ્સવાળા નેરેટરની કહાની તૈયાર છે. પાયલ ઘોષે આ પોસ્ટ સાથે બે હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. #NotGoingDown #MeToo.
પાયલ ઘોષની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેણે આ પોસ્ટ દ્વારા તેની હત્યા અંગે આશંકા વ્યક્ત કરી છે. પાયલે તેના આ નિવેદનથી બધાંને ચોંકાવી દીધા છે.
તમને જણાવી દઈએ કે, વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ પાયલ ઘોષે ગંભીર આરોપો લગાવતા આઈપીસીની કલમ 376, 354, 341, 342 હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો. કેસ નોંધાયા પછી અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી શકે છે.