2019 ક્રિકેટ વર્લ્ડકપમાં નંબર 4ની પોઝિશનમાં એક સારા બેટ્સમેનની ભારતને ખૂબ ખોટ પડી હતી. આ ખોટને કારણે જ કદાચ ભારતે વર્લ્ડકપ ગુમાવ્યો હતો.
આ પોઝિશન માટે એક ખેલાડીને ફેવરિટ માનવામાં આવતો હતો. અંબાતી રાયડુ. આ ખેલાડીનું વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સ્થાન નિશ્ચિત ગણાતું હતું. જો કે MSK પ્રસાદના નેતૃત્વની સિલેક્શન કમિટીએ અંબાતી રાયડુને ટીમમાં સ્થાન ન આપતા છેલ્લી મિનિટે વિજય શંકરને સામેલ કર્યો હતો.
આ મુદ્દે અંબાતી રાયડુએ વ્યંગ કરતી ટ્વીટ કરી હતી જેનાથી સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાઓ શરુ થઇ હતી. નંબર 4ના બેટ્સમેનની નિષ્ફ્ળતાને પગલે ભારત સેમી ફાઇનલમાં ન્યુઝિલેન્ડ સામે હારી ગયું હતું.
હમણાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધેલા ખેલાડી સુરેશ રૈનામાં હમણાં નિવેદન આપ્યું હતું કે રાયડુ ભારતના નંબર 4ના સ્પોટ માટે સૌથી પરફેક્ટ ખેલાડી હતો. રૈનાએ એમ પણ કહ્યું હતું કે રાયડુની હાજરીથી કદાચ ભારત વર્લ્ડ કપ જીતી ગયું હોત.
રૈનાએ કહ્યું હતું કે તેણે રાયડુને ભારતના નંબર 4ની પોઝિશન માટે ખૂબ મહેનત કરતા જોયો છે. તે છેલ્લા દોઢ વર્ષથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હતો. આમ છતાં તેને તક ન મળી. તેણે ઉમેર્યું હતું કે તેને 2018ની ટુરમાં મજા આવી નહોતી. આ ટુરમાં રૈના સિલેક્ટ થઇ ગયો હતો પણ રાયડુ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહોતો થઇ શક્યો.
રૈનાએ કહ્યું હતું કે રાયડુ ચેન્નાઇ સુપર કિંગ્સમાં પણ 4થા ક્રમે બેટિંગ કરે છે. ચેન્નાઇની સફળતામાં રાયડુનું યોગદાન છે. નોંધનીય છે કે વિજય શંકર અને રિષભ પંતને મિડલ ઓર્ડરનું સુકાન સાંભળતા ફાવ્યું નહોતું અને તે ભારતનું વીક સ્પોટ સાબિત થયું હતું.