દેશમાં જબરજસ્તીથી થઈ રહેલા ધર્માંતરણના મામલે એક મોટી ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો છે કે તેણે શું પગલાં ભર્યાં છે.
જબરજસ્તી ધર્માંતરણના મામલે સુપ્રીમ કોર્ટ ગંભીર
જબરજસ્તી ધર્માંતરણને ગંભીર ગુનો ગણાવ્યો
સરકાર પાસેથી જવાબ માગ્યો
કહ્યું ધર્માંતરણને અટકાવવા શું પગલાં લીધા
સુપ્રીમ કોર્ટે સોમવારે ધર્મ પરિવર્તનને ગંભીર મામલો ગણાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે કોઈના ધર્મનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવું એ ચિંતાનો વિષય છે, જે દેશની સુરક્ષાની સાથે સાથે ધાર્મિક સ્વતંત્રતાને પણ અસર કરે છે. જસ્ટિસ એમ આર શાહ અને હિમા કોહલીની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાની ખંડપીઠે ધર્માંતરણ સંબંધિત એક અરજીની સુનાવણી કરી આવી ટીપ્પણી કરીને સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે ધર્મ પરિવર્તન અટકાવવા માટે તમારા દ્વારા શું પગલાં ભરવામાં આવ્યાં છે. ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે ધર્માંતરણને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી અનુસાર, લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. લોકોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડી રહી છે.
ધર્માંતરણ બંધ નહીં કરાય તો મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાશે
બળજબરીથી ધર્માંતરણને ગંભીર મુદ્દો ગણાવતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા અને આવી ગતિવિધિઓને રોકવાના પ્રયાસો કરવા જણાવ્યું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જો બળજબરીથી ધર્માંતરણ બંધ કરવામાં નહીં આવે તો મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.
ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ કડક બનાવો-અરજદારની માગ
કેન્દ્રના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કેટલાક રાજ્યોએ આ કેસોમાં કાયદા બનાવ્યા છે. અમે 22 નવેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરીશું. સરકારો શું પગલાં લઈ રહી છે તે અમે જણાવીશું. આ પહેલા સુપ્રીમ કોર્ટે 23 સપ્ટેમ્બરે ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ ફટકારી હતી. કોર્ટે ચાર અઠવાડિયાની અંદર તેનો જવાબ માંગ્યો હતો.ખંડપીઠ સમક્ષ અરજદારના વકીલે કહ્યું હતું કે, દેશમાં લોકોને ધમકાવીને, ભેટસોગાદો દ્વારા અને તેમને નાણાંનો લાભ આપીને મોટા પાયે ધર્મ પરિવર્તન અને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ કડક બનાવવી જોઈએ. અરજીમાં કેન્દ્ર અને રાજ્યો પાસેથી કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.