મહારાષ્ટ્રમાં સરકારની રચના મુદ્દે સસ્પેન્સ યથાવત છે ત્યારે સૂત્રો દ્વારા તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર આગામી અઠવાડિયે મહારાષ્ટ્રમાં સરકારની રચના થઇ શકે છે. બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે એનસીપી અને કોંગ્રેસ સાથે સરકારની રચના અંગે વાતચીત ચાલી રહી છે. દરમિયાન, શિવસેનાના સૂત્રો તરફથી અહેવાલો આવી રહ્યા છે કે જો ભાજપ 50-50 વાળી ફોર્મ્યુલા પર તૈયાર છે, તો પાર્ટીને (શિવસેના) "ભાજપ સાથે ફરી ગઠબંધન કરવામાં ખુશી થશે.
મહારાષ્ટ્રમાં સરકારને લઇને મહત્વના સમાચાર
આગામી સપ્તાહે થઇ શકે સરકારની રચના
ભાજપ શિવસેનાની વાત સ્વીકારે તો ફરી થઇ શકે ગઠબંધન
તમને જણાવી દઇએ કે, અગાઉ શિવસેના(Shivsena)એ ત્રણ દાયકાથી વધુ સમયથી તેની સાથી ભારતીય જનતા પાર્ટી (BJP) 50-50 ની ફોર્મ્યુલા પર સહમત ન થયા બાદ સંબંધો તોડી દીધા હતા. શિવસેનાએ માંગ કરી હતી કે અઢી વર્ષ શિવસેનાના મુખ્ય મંત્રી અને અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી બનશે. ભાજપે શિવસેનાની આ માંગને સ્પષ્ટપણે નકારી હતી અને કહ્યું કે સાથી પક્ષ સાથે આ પ્રકારના કોઈ કરાર પર ચર્ચા કરવામાં નહીં આવે.
ટૂંક સમયમાં બનશે શિવસેનાની આગેવાનીવાળી સરકાર : રાઉત
આ તમામ બાબતો વચ્ચે શિવસેનાનું કહેવું છે કે, NCP અને કોંગ્રેસ (NCP-Congress) સાથે મળીને સરકાર બનાવવાની દિશામાં કામ યોગ્ય રીતે થઇ રહ્યું છે. શિવેસેના સાંસદ સંજય રાઉતે પણ જણાવ્યું હતું કે, તમે શરદ પવાર અને અમારા ગઠબંધન મામલે ચિંતા ન કરો. ટૂંક સમયમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સત્તા સંભાળશે. આ સરકાર સ્થિર સરકાર હશે.
શરદ પવાર જે કહે તે સમજતા 100 વર્ષ લાગે
આ પહેલા સોમવારે શરદ પવારે સરકાર ગઠનને લઇને શિવસેના સાથે સમજૂતી પર જણાવ્યું હતું કે ખરેખર એવું છે ? જો કે, ત્યારબાદ એવી અટકળો ફરતી થઇ કે શું શિવસેના-NCP અને કોંગ્રેસ વચ્ચે સરકારના ગઠન અંગે કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. NCP પ્રમુખના નિવેદન બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શરદ પવાર જે કહે છે તેને સમજવામાં 100 વર્ષ લાગી જાય છે.
શું છે મહારાષ્ટ્ર વિધાનસભાની સ્થિતિ
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રની 288 સભ્યો ધરાવતી વિધાનસભામાં ભાજપની પાસે 105, શિવસેના પાસે 56 બેઠક છે. જ્યારે NCP અને કોંગ્રેસની પાસે ક્રમશ: 54 અને 44 બેઠકો છે જે રાજ્યમાં સરકાર બનાવવા માટે પુરતી છે. આ સાથે જ વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે ઓછામાં ઓછું 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.