સમગ્ર વિશ્વને હંફાવનાર કોરોનાએ છેલ્લા 15 દિવસથી ગુજરાતને પણ બાનમાં લીધું છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7400 કરતાં પણ વધુ થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારના વહીવટથી ખુબ જ નારાજ છે. ત્યારે જ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવી ટ્વિટ કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચકિત કરી દીધા છે.
મોદી સરકારની ટીકા કરવાની હોય કે ભાજપના મોવડી મંડળને સાચું પરખાવી દેવાનું હોય ત્યારે બેઝીઝક કહી દેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ વિશે વાત કરી છે. સ્વામીએ ટ્વિટ કરતાં કહ્યું કે કોરોના સંક્રમણના વધી રહેલાં કેસોની પરિસ્થિતિમાં સુધરી શકે તેમ છે જો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ પાછા આવે તો. અર્થાત્ સ્વામીએ કહ્યું કે જો ગુજરાતના વધી રહેલાં કોરોનાના સંકટમાંથી બચાવવું હોય તો મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલને પાછા લાવવા જોઈએ. આ સાથે વિજય રૂપાણીની કાર્યક્ષમતા પર સીધો પ્રશ્નાર્થ કર્યો છે.
Gujarat can be stabilised for Coronavirus Casualty numbers only if Anandibehn Patel returns as CM
જો કે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોરોના લડતમાં નબળા પડ્યા છે અને યોગ્ય નિર્ણયો નથી લઈ શક્યા એવી ચર્ચા એ જોર પકડ્યું છે. આ ઉપરાંત ગઈકાલે જ મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આવે છે અને વિજયભાઈને ભાજપ હટાવે છે તેવા મેસેજ સોશિયલ મીડિયા અને ઘણા બધા મીડિયામાં પણ આ સમાચાર પ્રસારિત થયા હતા. જેમાં મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને સ્પષ્ટતા પણ આપી દીધી હતી કે ગુજરાતમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી અને રૂપાણી સરકાર મક્કમતાપૂર્વક કામ કરી રહી છે. આવામાં ભાજપના સાંસદે આનંદીબેનને CM તરીકે લાવવાની વાત કરીને ફરી રાજકીય જગતમાં ચર્ચાને તક આપી દીધી છે.
ગાંધીનગર સચિવાલયના સુત્રો મુજબ હાલમાં કેન્દ્ર સરકાર અને PMOના અધિકારીઓ સીધા જ ગુજરાતના ટોપ અધિકારીઓ સાથે વાત કરે છે. PMO સીધો જ ફોન કે કૈલાસનાથનને કરે છે અને મહત્વના નિર્ણયો વિશેની ચર્ચા કૈલાસનાથન અને અનિલ મુકીમ સીધી જ કેન્દ્ર સરકાર સાથે કરે છે. વિજય રૂપાણી સાથે કેન્દ્રના સચિવો પણ વાત કરતાં નથી. આ ઉપરાંત તેઓ થોડા દિવસથી પોતાના સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નથી.
સ્વામીના કહેવા મુજબ કોરોનાના સંકટમાંથી બચવા ગુજરાતને આનંદીબહેનની કડક સ્વભાવની પ્રતિભા કામ લાગી શકે તેમ છે. આ ઉપરાંત આનંદીબહેનનો અધિકારીઓ પરનો કંટ્રોલ પાવર અને પરિસ્થિતિની સમજણ આ મહામારીની પરિસ્થિતિમા ગુજરાતને ખુબ જ ઉપયોગી બની શકે તેમ છે કહી શકાય. આવામાં સ્વામીની એક ટ્વિટથી ફરી ગુજરાતનું રાજકારણ ગરમાશે તે ચોક્કસ કહી શકાય.