શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જોતાં સાબિત થાય છે કે તમારા બેન્કના લોકરમાં મૂકેલા દાગીના પણ સુરક્ષિત નથી. એનઆરઆઈ અને નવરંગપુરામાં રહેતી મહિલાના આઈડીબીઆઈ બેન્કના લોકરમાંથી ૬૦ તોલા સોનું અને ૮ કિલો ચાંદી મળી ૩૦ લાખની મતાની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે.
IDBI બેન્કના લોકરમાંથી ચોરી કરી ૧૦૧ રૂપિયા મૂકી ગયો
બેન્ક કર્મચારીની હાજરીમાં લોકર નહીં ખૂલતાં છેવટે તોડાવવું પડ્યું
બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે ચાર દિવસ બાદ ફરિયાદ નોંધી
બે વર્ષ અગાઉ મહિલા લોકરમાં દાગીના મૂકીને અમેરિકા ગયા બાદ પરત આવીને લોકર ખોલતાં તે ખૂલ્યું ન હતું, જેથી બેન્કે મિસ્ત્રીને બોલાવીને લોકર તોડાવ્યું તો તેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના ન હતા અને માતાજીનો એક ફોટો અને ૧૦૧ રૂપિયા હતાં. આ જોઇ મહિલાના હોશ ઊડી ગયા હતા. મહિલાએ તા. ૧૭ ફેબ્રુઆરીએ પોલીસને અરજી આપી હતી, જોકે ટ્રમ્પના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે હવે આ અંગે ગઈ કાલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે નવરંગપુરામાં આવેલા વર્ધમાન ફ્લેટમાં રહેતાં અને અમેરિકાના પર્યાવરણ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં તૃપ્તિબહેન મહેતાએ બેન્ક લોકરમાં ચોરીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે.
તૃપ્તિબહેન મહેતા છેલ્લાં વીસ વર્ષથી અમેરિકા પરિવાર સાથે સ્થાયી થયાં છે અને તેમના કુટુંબના સભ્યો અમદાવાદ રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદ આવતાં હતાં. તૃપ્તિબહેને વર્ષ ર૦૧૬માં નવરંગપુરા સીજીરોડ બોડીલાઈન ચાર રસ્તાથી ગુલબાઈ ટેકરા તરફ જતા રોડ પર આવેલી આઈડીબીઆઈ બેન્કમાં લોકર નંબર પર૦ રાખ્યું હતું. આ લોકરમાં તેમનાં સોના-ચાંદીના દાગીના મૂકીને તે પાછાં અમેરિકા ગયાં હતાં.
ત્યારબાદ નવેમ્બર-ર૦૧૭માં તૃપ્તિબહેન પરત અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે લોકરમાં બે સોનાની બંગડીઓ અને સોનાનું પેન્ડલ આશરે પાંચ તોલા જેટલા દાગીના મૂક્યા હતા. તે સમયે અગાઉ મૂકેલા દાગીના લોકરમાં જ હતા. ત્યારબાદ ફરી એક વાર તૃપ્તિબહેન તા. ૧ર ફેબ્રુઆરી, ર૦ર૦ના રોજ અમેરિકાથી અમદાવાદ પરત આવીને દાગીના લેવા બેન્કમાં ગયાં હતાં.
તે સમયે તૃપ્તિબહેને લોકર ખોલવાનું હોવાથી બેન્ક કર્મચારીની હાજરીમાં લોકર ખોલવાની બે વાર કોશિશ કરી હતી, પરંતુ લોકર ખૂલતું ન હતું, જેથી બેન્કના અધિકારીએ તૃપ્તિબહેનને લોકર તોડવા કંપનીવાળાને બોલાવીશું તમે કાલે આવજો તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તૃપ્તિબહેનને બોલાવી બેન્કના અધિકારીઓએ મિસ્ત્રી દ્વારા તૃપ્તિબહેનની હાજરીમાં લોકર તોડ્યું તો તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા અને તેની જગ્યાએ માતાજીનો ફોટો અને રૂ.૧૦૧ રૂપિયા જ હતાં.
આ જોઇ તૃપ્તિબહેનના તો હોશ ઊડી ગયા હતા. તેમણે બેન્ક સત્તાવાળાઓને કહ્યું કે લોકરમાંથી દાગીના ચોરાયા છે, પરંતુ તેઓ તેમની વાત માનવા તૈયાર જ ન હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે પહેલાં અરજી લીધી હતી અને તપાસ કર્યા પછી જ ફરિયાદ નોંધી છે.
તૃપ્તિબહેનનાં બેન્કમાં પર૦ નંબરનાં ત્રણ લોકર છે. બેન્કનું લોકર એક વર્ષમાં એક વખત ઓપરેટ કરવાનું ફરજિયાત છે. તૃપ્તિબહેન અમેરિકા રહેતાં હોવાથી વર્ષમાં એક વાર લોકર ખોલવું જરૂરી હોવાથી તેમણે બે વાર બેન્કમાં અરજી આપી હતી, જયારે તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૦ના રોજ લોકર ખૂલતું ન હતું ત્યારે લોકર તોડતા હતા તે સમયે તૃપ્તિબહેનની નજર તેમના લોકર પર પડી હતી. લોકરની આસપાસ ઘસરકા અને તેને તોડવાનાં નિશાન હતાં.
બીજી બાજુ બેન્કમાં પર૦ નંબરનાં ર લોકર છે. એક વાર તેમણે ભૂલથી બીજા પર૦ નંબરનું લોકર ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લોકર ખૂલ્યું ન હતું. તૃપ્તિબહેનના લોકરમાં મૂકેલા સોનાના દાગીના આશરે ૬૦ તોલા અને ચાંદીના દાગીના આઠ કિલો, જેની કિંમત 30 લાખ છે. દાગીના કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ બેન્કમાંથી ચાેરી ગઇ હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.