ગુજરાતમાં કોરોનાના પુરતા સાધનોની ગુલબાંગો વચ્ચે અમદાવાદની હોસ્પિટલે દરવાજા બહાર ICU અને ઓક્સિજન બેડ ફુલ હોવાનું પાટીયું લટકાવ્યું હતું.
શારદાબેન હોસ્પિટલ બહાર બેડની વિગતો દર્શાવતું લાગ્યું બોર્ડ
જનરલ બેડ ખાલી
ICU અને ઓક્સિજન બેડ ફૂલ
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં આંશિક રાહત મળી છે, જો કે મૃત્યુદરમાં ચિંતાજનક વધારી થઇ રહ્યો છે તો રાજ્યના મહાનગરો પૈકી અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર છે. ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબહેન હોસ્પિટલની બહાર વહીવટી તંત્ર દ્વારા ICU અને ઓક્સિજન બેડ ફુલ હોવાનું પાટીયું લગાવવામાં આવ્યું છે.
ICU અને ઓક્સિજન બેડ ફુલનું લાગ્યું પાટીયું
હોસ્પિટલમાં બેડની વિગતો દર્શાવતા બોર્ડમાં હાલ ઉપલબ્ધ બેડ અંગેની સ્થિતિ જણાવવામાં આવી છે. જેમાં તમામ ICU અને ઓક્સિજન બેડ ફુલ હોવાનું જણાવાયું છે. તથા જનરલ બેડ ખાલી હોવાની વાત કરવામાં આવી છે. આ મામલે સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને બેડ વધારવાની માંગ કરી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર
ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.