ICMR ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેણે પબ્લિશ કરેલા સર્વેના રિપોર્ટમાં હોટસ્પોટ શહેરોના આંકડા જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા હતા.
મે 2020માં દેશમાં કોરોના વાયરસ કેટલો ફેલાયો હતો તે માટે ICMRએ એક સર્વે કર્યો હતો જેમાંથી 10 શહેરો જેમને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તેમના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ચિંતાજનક અહેવાલ ધ ટેલિગ્રાફ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે.
ICMR પર આરોપ છે કે 11 મેથી 4 જૂન વચ્ચેનો થોડો ડેટા કાઢી નાખવા માટે તેમના રિસર્ચર્સને કહ્યું હતું તેવો આરોપ છે. આ સર્વેનું પરિણામ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયું છે.
આંકડા છુપાવવા એ મેડિકલ એથિક્સની વિરુદ્ધનું કૃત્ય
સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે આંકડા કાઢી નાખવાની બાબત આ અહેવાલ લખનાર બે-ત્રણ રિસર્ચર્સ દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. આ ગંભીર એટલે છે કે આંકડા છુપાવવા એ મેડિકલ એથિક્સની વિરુદ્ધનું કૃત્ય છે.
રિસર્ચર્સે દેશના 71 જિલ્લાઓમાં સર્વે લીધો હતો
ભારતમાં કેટલા પ્રમાણમાં કોરોના ફેલાયો છે તે માટે રિસર્ચર્સે દેશના 71 જિલ્લાઓમાં સર્વે લીધો હતો જેમાંથી નોન હોટસ્પોટ ઝોનમાં 400 લોકો અને હોટસ્પોટ ઝોનમાં 500 લોકોના એન્ટીબોડી ચેક કરવામાં આવ્યા હતા. આ જિલ્લાઓ પૈકી 10 જિલ્લાઓ હોટસ્પોટમાં આવતા હતા જેમાં અમદાવાદ, ભોપાલ, કોલકાતા, ભોપાલ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, મુંબઈ, પુણે અને સુરતનો સમાવેશ થતો હતો જેમના આંકડા મુદ્દે આ વિવાદ સર્જાયો છે.
વિચિત્ર વાત એ છે કે 12 જૂને સર્વેના શરૂઆતના પરિણામ જાહેર કરતી વખતે કહ્યું હતું કે 28000 લોકોના સર્વે લેવાયા છે જેઓ અલગ અલગ 83 જિલ્લામાં વસે છે જયારે અહેવાલમાં ફક્ત 71 જિલ્લાઓ સમાવિષ્ટ છે.
સ્થાનિક તંત્ર દ્વારા વધુ સચોટ સર્વે લેવાઈ રહ્યો હતો: બચાવનું નિવેદન
આ અહેવાલના અન્ય એક લેખકે આંકડા કાઢવા બાબતે ICMRનો બચાવ કરતા જણાવ્યું હતું કે ICMRએ આ ડેટા એટલે પબ્લિશ નહોતો કર્યો કારણ કે અહીંના સ્થાનિક તંત્ર દ્વારા વધુ સચોટ સર્વે લેવાઈ રહ્યો હતો.
આ મુદ્દે ICMRએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઘટના ઉપરાંત પણ મોદી સરકારે કેટલા પરપ્રાંતીય કામદારોની મોત થઇ છે તે અંગેનો ડેટા ન હોવાની બાબતને કારણે અને કોરોનામાં કેટલા ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સના મોત થયા છે તેનો આંકડો ન હોવાને પગલે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે.