ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જે નિયમથી વર્લ્ડ ચેમ્પિયન બની હતી તેને આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હવે રદ્દ કરી દીધો છે. ઇંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં રમવામાં આવેલી આ મેચનું પરીણામ બાઉન્ડ્રી કાઉન્ટના આધારે આવ્યું હતું. પરંતુ આઇસીસીએ હવે આ નિયમને હટાવી દીધો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ્દ કર્યો
વર્લ્ડકપની મેચમાં ઇંગ્લેન્ડ આ નિયમને આધારે બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન
આઇસીસીના સુપર ઓવરમાં બાઉન્ડ્રી નિયમને કારણે ઇંગ્લેન્ડ જ્યાં વર્લ્ડ કપ પર કબજો જમાવવામાં સફળ રહ્યું હતું, તો શાનદાર પ્રદર્શન કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ ટાઇટલ ચૂકી ગઇ હતી. આઇસીસીએ કહ્યું કે ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઇ રહે છે તો ત્યારબાદ મેચ ટાઇ રહેશે. જ્યારે સેમીફાઇનલ અને ફાઇનલમાં જો સુપર ઓવર થાય છે તો તેવામાં જે ટીમ વધારે રન બનાવે છે તે વિજેતા જાહેર કરાશે. સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી એક ટીમ બીજી ટીમથી વધારે રન ન બનાવી લે.
ઉદાહરણ લઇને સમજીએ તો, જો ગ્રુપ સ્ટેજમાં બે ટીમ 50 ઓવરમાં એક જ સ્કોર બનાવે છે, તો ત્યારે મેચના પરીણામ માટે સુપર ઓવર થશે. પરંતુ જો સુપર ઓવરમાં પણ સ્કોર બરાબર રહે છે તો, એવામાં મેચનું પરીણામ ટાઇ રહેશે અને બંને ટીમોને સરખા પોઇન્ટ મળશે. પરંતુ સેમીફાઇનલ અને ફાઇનલમાં આમ નહીં હોય. સેમીફાઇલ અને ફાઇનલ મેચમાં ત્યા સુધી સુપર ઓવર હશે જ્યાં સુધી કોઇ એક ટીમ બીજી ટીમથી વધારે રન ન બનાવી લે.
શું કહ્યું ICCએ
સોમવારે આઇસીસીની બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું આઇસીસી ક્રિકેટ સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓની (CEC) સમિતિની ભલામણો બાદ એ વાતે સહમતિ બની કે સુપર ઓવરનો ઉપયોગ આઇસીસીની મેચોમાં ચાલુ રહેશે. તેને ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી ટૂર્નામેન્ટનું પરીણામ સ્પષ્ટ રૂપે ન નીકળે.
સાથે કહેવામાં આવ્યું કે, આ મામલામાં ક્રિકેટ સમિતિ અને સીઇસી બંને વચ્ચે સહમતિ હતી કે મેચમાં રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વનડે અને ટી20 વર્લ્ડ કપની તમામ મેચોમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રુપ સ્ટેજ પર જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહે છે તો તેને ટાઇ માનવામાં આવશે પરંતુ સેમીફાઇનલ અને ફાઇનલમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે, જ્યાં સુધી એક ટીમ વધારે રન ન બનાવે.
આ પહેલા જુલાઇમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ક્રિકેટ જનરલ મેનેજર જ્યોફ એલર્ડાઇસએ જાણકારી આપી કે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની વાળી ક્રિકેટ સમિતિ પોતાની હવે પછીની બેઠકોમાં બાઉન્ડ્રી નિયમ સહિત વિશ્વકપ ફાઇલન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વર્લ્ડ કપની મેચમાં શું બન્યું હતું
14 જુલાઇએ ઐતિહાસિક લોર્ડસ મેદાન પર રમવામાં આવેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી હતી. આ રોમાંચક ટાઇટલ મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 241 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવા માટે 242 રનોની જરૂર હતી. પરંતુ યજમાન ટીમ પણ 50 ઓવરમાં 241 રન જ બનાવી શક્યા અને મેચ ટાઇ થઇ ગઇ.
આ ટાઇ મેચનું પરીણામ લાવવા માટે સુપર ઓવર કરાવામાં આવી, જેમા ઇંગ્લેન્ડે 15 રન બનાવ્યા અને બાદમાં ન્યૂઝીલેન્ડ માત્ર 15 રન બનાવી શક્યું. તેથી મેચ અહીં પણ ટાઇ થઇ ગઇ. અહીં સુધી પણ જ્યારે કોઇ પરીણામ ન આવ્યું તો મેચમાં કઇ ટીમ દ્વારા વધારે બાઉન્ડ્રી (બાઉન્ડ્રી કાઉન્ટ) ફટકારાઇ, તેના આધારે મેચનું પરીણામ જાહેર કરાયું.
બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડ બની ચેમ્યિયન
ઇંગ્લેન્ડે પોતાની ઇનિંગમાં કુલ 26 બાઉન્ડ્રી ફટકારી અને ન્યૂઝીલેન્ડે કુલ 17. આ આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું. પરંતુ આઇસીસીએ હવે બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને રદ્દ કરી દીધો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની અધ્યક્ષતા વાળી આઇસીસી ક્રિકેટ સમિતિની એક ભલામણ બાદ, મુખ્ય કાર્યકારી સમિતિએ સોમવારે આ વાત પર સહમતિ દર્શાવી કે પરીણામો માટે સુપર ઓવરના ઉપયોગને યથાવત રાખવામાં આવે. તેનો ઉપયોગ દરેક મેચમાં થશે, સાથે જ વનડે અને ટી20 વર્લ્ડ કપમાં પણ થશે.