ICCએ ટી20 ફોર્મેટમાં લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધું છે. આ રેન્કિંગમાં ભારત તરફથી વિસ્ફોટક બેટ્સમેનનો દબદબો રહ્યો છે. સૂર્યકુમાર યાદવ આ ફોર્મેટમાં બીજા ક્રમાંકે
ICCએ ટી20 ફોર્મેટમાં લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું
ICCએ ટી20 ફોર્મેટમાં લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધું છે. આ રેન્કિંગમાં ભારત તરફથી વિસ્ફોટક બેટ્સમેનનો દબદબો રહ્યો છે. આ ખેલાડીએ હાલમાં જ વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર શાનદાર ઇનિંગ રમીને ટી20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવીને ટી20 રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ ખેલાડી એશિયા કપ 2022માં રમવા માટે પણ સૌથી મોટો દાવેદાર છે.
ટી-20 રેન્કિંગમાં આ ખેલાડીનું પ્રદર્શન
સૂર્યકુમાર યાદવ તાજેતરના આઈસીસી ટી-20 રેન્કિંગમાં 816 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે ઝંઝાવાતી ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાનનો બાબર આઝમ 818 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત્ છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન ટોપ 10માં સ્થાન મેળવી શક્યો નથી.
વેસ્ટ ઇન્ડીઝ સામે મેચ જીતી
સૂર્યકુમાર યાદવે મંગળવારે (2 ઓગસ્ટ)ના રોજ સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 172.72ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શન બાદ જ સૂર્યકુમાર યાદવને આઈસીસી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.
વિરાટ કોહલીને થયું નુકસાન
આઇસીસીના તાજેતરના ટી-20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીને પીછેહઠનો સામનો કરવો પડયો છે. વિરાટ કોહલી 539 પોઇન્ટ સાથે 28માં સ્થાને પહોંચી ગયો છે. તે જ સમયે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા 598 પોઇન્ટ સાથે 16 મા સ્થાને યથાવત્ છે. ઈશાન કિશન 14મા સ્થાન પર અને કેએલ રાહુલ 20માં સ્થાન પર છે.