આઇસીસીના નવા અધ્યક્ષ જ્હોન બાર્કલેએ જણાવ્યું છે કે ક્રિકેટની દુનિયા માટે ભારતીય ક્રિકેટ ઘણું મહત્ત્વપૂર્ણ છે અને આઇસીસી આ તથ્યને સ્વીકારે છે.
બાર્કલેએ કહ્યું, ''આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. બાર્કલે આઇસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
''ભારત ક્રિકટ વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો": બાર્કલે
આઇસીસીના નવા બોસ બન્યા બાદ બાર્કલેએ કહ્યું, ''ભારત ક્રિકટ વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, જે આઇસીસીનું એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે. ભારતે ફક્ત આઇસીસી જ નહીં, બલકે વિશ્વ ક્રિકેટને મહત્ત્વ આપ્યું છે અને નિશ્ચિત રૂપે આઇસીસીને ભારતીય ક્રિકેટની ખૂબ જરૂર છે.''
ન્યૂઝીલેન્ડ-ભારત લગભગ ૧૦૦ વર્ષથી આઇસીસીના કાયમી સભ્ય
બાર્કલેએ વધુમાં જણાવ્યું, ''ભારતને એ વર્ષે કાયમી સભ્ય બનાવી દેવાયું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડને વર્ષ ૧૯૨૬માં સભ્ય બનાવવામાં આવ્યું હતું. આથી ન્યૂઝીલેન્ડ-ભારત લગભગ ૧૦૦ વર્ષથી આઇસીસીના કાયમી સભ્ય છે."
આ ત્રણ દેશો ICC પાસેથી વધુ આવકની માંગ કરે છે
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ અને આઇસીસી છેલ્લાં કેટલાંક વર્ષથી એકબીજા સામે ટકરાતાં રહ્યાં છે. ખાસ કરીને રેવન્યૂના મામલે, કારણ કે ક્રિકેટની રમતનું સંચાલન કરતી આઇસીસી પોતાના સભ્ય દેશો વચ્ચે એ નાણાંની વહેંચણી કરે છે. થોડાં વર્ષ પહેલાં એન. શ્રીનિવાસનના નેતૃત્વવાળી બીસીસીઆઇએ આઇસીસીમાં 'બિગ-થ્રી'ની રચવાની શરૂઆત કરી હતી. આ બિગ-થ્રીમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ કરાયો હતો, જેમણે આઇસીસીની આવકનો વધારે હિસ્સો માગ્યો હતો. આ ત્રણ દેશનો તર્ક હતો કે આઇસીસીમાં અન્ય દેશની સરખામણીએ અમારું યોગદાન વધુ રહે છે. આથી આવકનો મોટો હિસ્સો પણ અમને જ મળવો જોઈએ, પરંતુ ૨૦૧૫માં એ ફોર્મ્યુલાને ખતમ કરી દેવામાં આવી હતી.