આઇસીસીએ એક નવો નિયમ લાગુ કરી દીધો છે. આ નિયમથી સૌથી વધુ નુકસાન ભારતીય ટીમને થશે. આઇસીસી અંડર-૧૯ વિશ્વકપથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. વૈશ્વિક ક્રિકેટ પર ખર્ચનો બોજો ઓછો કરવા માટે ICC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને મોટી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીની સંખ્યા પર કાપ મૂકી દેવામાં આવ્યો
હાલમાં ભારતીય ટીમમાં લગભગ 30 સભ્ય હોય છે
આઇસીસી હવે આ સંખ્યા ઘટાડીને ૨૩ કરી નાખવા અંગે વિચારી રહી છે
નવા નિયમમાં આઇસીસી વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને મોટી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડી અને સપોર્ટ સ્ટાફની સંખ્યા પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી આઇસીસીએ વિશ્વકપ જેવી ટૂર્નામેન્ટમાં એક દેશને ૨૫ સભ્યની ટીમ મોકલવાની મંજૂરી દરેક ક્રિકેટ બોર્ડને આપેલી હતી, જેમાં ટીમના ૧૫ ખેલાડીઓ પણ સામેલ હતા. ૧૫ ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ અને અન્ય અધિકારી ટીમની સાથે વિદેશ પ્રવાસે જઈ શકતા હતા, પરંતુ આઇસીસી હવે આ સંખ્યા ઘટાડીને ૨૩ કરી નાખવા અંગે વિચારી રહી છે. આ નવા નિયમથી ભારતીય ટીમને ઝટકો લાગી શકે તેમ છે, કારણ કે ભારતીય દળમાં લગભગ ૩૦ સભ્ય હોય છે.
ભારત જ નહીં, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બોર્ડના તમામ અધિકારી, ખેલાડી, સપોર્ટ સ્ટાફના સભ્યો મોટી ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશ પ્રવાસે જાય છે. ICC ટૂર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડનના દળમાં ૨૮ સભ્ય હોય છે, જ્યારે ભારતીય ટીમની વાત કરવામાં આવે તો હાલના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમની સાથે ખેલાડીઓ સહિત ૨૮ સભ્ય છે, જેમાં ૧૫ ખેલાડી, ચાર કોચ, બે થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ, એક ટ્રેનર, એક ફિઝિયો, એક મેનેજર, એક લોજિસ્ટિક મેનેજર અને એક મીડિયા મેનેજર સામેલ છે.
આ કારણ છે :
સભ્યની સંખ્યા પર કાપ મૂકવા પાછળ આઇસીસીનું માનવું છે કે આનાથી લોજિસ્ટિક ભાર વૈશ્વિક ક્રિકેટ પર ઓછો પડશે અને ખર્ચ પણ ઓછો આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વિશ્વકપમાં ભારતીય ટીમ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં બિનસત્તાવાર રીતે ૧૬મા સભ્ય તરીકે ધવલ કુલકર્ણીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ લઈ ગઈ હતી. વિશ્વકપ-૨૦૧૯ દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું, જોકે ઋષભ પંતને આઇસીસી તરફથી મંજૂરી મળ્યા બાદ જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.