શ્રીલંકાની ક્રિકેટ ટીમ એક સમયે ટોચના સ્થાને બિરાજતી હતી, આજે આ ટીમ તળિયે પહોંચી ગઇ છે. કુમાર સંગાકારા, જયાવર્ધને, તિલકરત્ને દિલશાન અને મુરલીધન જેવા મહાન ખેલાડીઓની નિવૃત્તિ બાદ શ્રીલંકન ટીમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી અને હવે આ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. શ્રીલંકન ખેલાડીઓનાં નામ ફિક્સિંગમાં સામે આવ્યાં છે.
ફિક્સિંગમાં ફસાયા ખેલાડીઓ
ફિક્સિંગના મામલે આઇસીસીએ કરી તપાસ
અહેવાલો અનુસાર શ્રીલંકાના ત્રણ ખેલાડી મેચ ફિક્સિંગના મામલે ફસાયા છે, જોકે હાલમાં આ ખેલાડીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. આ સમાચારની પુષ્ટિ ખુદ શ્રીલંકાના રમતગમત પ્રધાન દુલાસ અલાહાપેરુમાએ કરી છે.
અલાહાપેરુમાએ ગઈ કાલે કહ્યું કે, ''દેશના ઓછામાં ઓછા ત્રણ ખેલાડીની મેચ ફિક્સિંગના મામલે આઇસીસી તપાસ કરી રહી છે. અમને દુઃખ છે કે રમતની શિસ્ત અને ચારિત્ર નબળાં પડી રહ્યાં છે.''
આ સમાચાર સામે આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, ''અમારું માનવું છે કે પ્રધાન અલાહાપેરુમાએ જેમનો ઉલ્લેખ કર્યો છે તે આઇસીસીના એન્ટિકરપ્શન યુનિટ દ્વારા ત્રણ ભૂતપૂર્વ શ્રીલંકન ખેલાડીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. એ તપાસમાં વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓનાં નામ સામેલ નથી.''