લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરાઇ, જેઓને આજે CBIની કોર્ટમાં રજૂ કરાશે.
ભ્રષ્ટાચારના કેસમાં IAS અધિકારીની ધરપકડ
કે.રાજેશ પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ
આજે CBIની કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલી દરોડાની કાર્યવાહી બાદ નક્કર પુરાવાના આધારે 2011 ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. કે. રાજેશની લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. IAS અધિકારી પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. કે.રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે છે, ત્યારે IAS અધિકારીની ધરપકડથી નેતાઓ અને નજીકના માણસોમાં ફફડાટ વ્યાપ્યો છે. આજે કે.રાજેશને CBIની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં રફીક મેમણની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે રફીકના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા અંગે CBIએ પ્રેસનોટ જાહેર કરી છે. CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારે હવે કનકીપતિ રાજેશ (કે રાજેશ)ની ધરપકડ થઇ ચૂકી છે.
CBIએ આ મામલે કર્યો કેસ
કેન્દ્રીય એજન્સીએ IAS અધિકારી સામે આર્મ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી તેમ જ સરકારી જમીનને નિયમિત કરવા માટે લાંચ માંગવાનો કેસ કર્યો છે.ગુજરાત સરકારની વિનંતી પર અગાઉ પ્રાથમિક તપાસ નોંધવામાં આવી હતી તેવું CBIએ જણાવ્યું હતું. ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશમાં CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
CBIએ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતે CBIએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ પણ થઈ રહ્યાં છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યાં છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIએ કાર્યવાહી કરી હતી.
રાજકોટના દિગ્ગજ નેતા સુધી તપાસનો રેલો પહોંચી શકે
બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવી છે. CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં રાજકીય અગ્રણીની મહત્વની ભૂમિકા છે. હાલમાં સૂત્રો તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.