એક ઉચ્ચસ્તરીય તપાસ રિપોર્ટ અનુસાર જમ્મૂ કાશ્મીરના બડગામમાં 27 ફેબ્રુઆરીએ વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર MI-17 ભારતીય મિસાઇલનું જ નિશાન બન્યું હતું. આ રિપોર્ટમાં ઓછામાં ઓછા ચાર અધિકારીઓ દોષિત ઠેરાયા છે.
એ જ દિવસે ભારત અને પાકિસ્તાનની વાયુસેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હેલિકોપ્ટર MI-17 દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે 6 સૈન્ય કર્મિઓ સહિત 7 લોકોના મોત થયા હતા. સેનાના સૂત્રોએ બતાવ્યું કે એક ગ્રૃપ કેપ્ટન સહિત ઓછામાં ઓછા ચાર અધિકારીઓને હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થવા મામલે જવાબદાર ઠેરાવાયા હતા. અને હવે તેમને કડક સજાનો સામનો કરવો પડશે.
ભારતીય વાયુ સેનાએ હાલ તપાસના નિષ્કર્ષો પર તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. વાયુસેના વડામથકે દુર્ઘટનાની એર કમોડોર રેન્કના અધિકારી હેઠળ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (COI)નો આદેશ આપ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં એ સિસ્ટમ બંધ હતી જેથી મિત્ર અથવા દુશ્મનની ઓળખ કરવામાં આવે છે. આ સાથે જ જમીની અધિકારીઓ અને હેલિકોપ્ટરના ચાલક દળ વચ્ચે સંચાર અને સમન્વયમાં તાલમેલ નહોતો. આ સિસ્ટમ હેઠળ હવાઇ રક્ષા રડારથી ઓળખ થાય છે, કે કોઇ વિમાન અથવા હેલિકોપ્ટર આપણું છે કે દુશ્મનોનું.
સૂત્રો અનુસાર, 'સૈન્ય કાનૂનની જોગવાઇ અનુસાર દોષી કર્મિઓને કડક સજાનો સામનો કરવો પડશે.' એમણે કહ્યું કે વાયુસેનાના ટોચના અધિકારી ઘટના માટે જવાબદાર લોકોને સજા માટે નિર્ણય લેશે. વાયુસેનાએ મે માસમાં ઘટનાની મહત્વપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે શ્રીનગર એરપોર્ટના એર ઓફિસર કમાન્ડિંગનું ટ્રાન્સફર કર્યું હતું.