રમણ જાનીએ કહ્યું: દેશના માર્કેટ બંધ થાય તો પણ સુરતમાં ચાલુ રહે તેવી વ્યવસ્થા કરી, આ કાવતરૂ સત્તા પ્રાપ્ત કરવા માટે થયું હોય તેવું લાગે છે: રમણ જાની
સુરત APMC ચેરમેન રમણ જાનીએ અવિશ્વાસની દરખાસ્ત બાદ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
રાજીનામાં બાદ રમણ જાનીના આક્ષેપ: મારા સમર્થનવાળા ડિરેક્ટરોને ધમકી આપવામાં આવે છે
4 ડિરેક્ટરોને ગોંધી રાખવામાં આવ્યા છે, મને રાજીનામું આપવા વોટસએપ પર ધમકી આપતા હતાઃ જાની
સુરત APMC ચેરમેન રમણ જાનીએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. અવિશ્વાસની દરખાસ્ત બાદ ચેરમેન પદેથી રમણ જાનીએ રાજીનામું આપ્યું છે. રમણ જાનીએ કહ્યું હતું કે, દેશના માર્કેટ બંધ થાય તો પણ સુરતમાં ચાલુ રહે તેવી વ્યવસ્થા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલની પરિસ્થિતિને લઇ રાજીનામું આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ભાજપ પ્રદેશ પ્રમુખે મને રાજીનામું આપવા કહ્યું નથી.
અવિશ્વાસની દરખાસ્ત બાદ ચેરમેન પદેથી રાજીનામું
રમણ જાની છેલ્લા 39 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ 5 વર્ષ વાઇસ ચેરમેન અને 25 વર્ષ ચેરમેન તરીકે કાર્યરત રહ્યા હતા. જોકે તાજેતરમાં તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને લઈ તેઓએ રાજીનામું આપી દીધું છે. રમણ જાણીએ જણાવ્યું હતું કે, સત્તા પ્રાપ્ત કરવા માટે ઘણા લોકોએ મારા રાજીનામાં પાછળની પ્રક્રિયા કરી છે.
અગાઉ પણ 300 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતાઃ જાની
રાજીનામાં બાદ રમણ જાનીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ 300 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. પરંતુ તપાસમાં આવા કોઇ આક્ષેપ સાબિત થયા ન હતા. આ કાવતરૂ સત્તા પ્રાપ્ત કરવા માટે થયું હોય તેવું લાગે છે. રમણ જાનીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બધુ સામે આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારના લોકો ભૂતકાળમાં અને આજે પણ માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા નથી. તો બીજી બાજુ રમણ જાણી પરિવારવાદ ચલાવતા હોવાના આક્ષેપ છે.
4 ડિરેક્ટરોને ગોંધી રાખવામાં આવ્યા છેઃ જાની
સુરત APMC ચેરમેન રમણ જાનીએ રાજીનામું આપ્યા બાદ સનસનીખેજ આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. રમણ જાનીએ જણાવ્યું હતું કે, મારા સમર્થનવાળા ડિરેક્ટરોને ધમકી આપવામાં આવે છે. આ સાથે 4 ડિરેક્ટરોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે. રમણ જાનીએ જણાવ્યું હતું કે, મને રાજીનામું આપવા વોટસએપ પર ધમકી આપતા હતા.