ભારતીય ક્રિકેટના ઉજ્વળ ભવિષ્ય માટે ઘણી વાર મહાન ખેલાડીઓના વિરુદ્ધમાં નિર્ણયો લેવા પડે છે.
MSK પ્રસાદે આપ્યું મોટું નિવેદન
ઘણીવાર ટીમની પ્રગતિ માટે લેવા પડે છે કપરા નિર્ણયો
ભારતીય ક્રિકેટની સફળતામાં યોગદાન આપવાની ખુશી છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય સિલેક્ટર MSK પ્રસાદે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જયારે વાત દેશની સેવાની આવે ત્યારે ઘણી વખત એવા કપરા નિર્ણયો પણ લેવા પડે છે કે જેની અસર વ્યક્તિગત ખેલાડીની સાથે સાથે તેમના ચાહકો પર પણ થતી હોય છે. મારું કામ ભારતીય ક્રિકેટના ભવિષ્યને સુધારવાનું હતું અને તે માટે મહાન ખેલાડીઓ વિરુદ્ધ મારે નિર્ણયો લેવા પડયા, પરંતુ આજે ભારતીય ટીમની પ્રગતિ દર્શાવે છે કે મારા લીધેલા નિર્ણયો ખોટા નહોતા.
MS ધોનીના સંન્યાસ પર પ્રસાદે આપ્યું મોટું નિવેદન
MSK પ્રસાદે ભારતીય પૂર્વ કપ્તાન MS ધોનીના સંન્યાસ પર વાત કરતા કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જે યોગદાન આપ્યું છે એ અવિશ્વસનીય છે, ધોની જેવો ખેલાડી ભારતને ક્યારેય નહીં મળી શકે પરંતુ ભાવુક થઈને લીધેલો મારો કોઈ પણ નિર્ણય ભારતીય ટીમના સિલેક્ટર તરીકેની મારી ફરજની વિરુદ્ધ છે. મારો ધ્યેય હમેશાં ભારતીય ટીમની સફળતામાં યોગદાન આપવાનો જ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે મળેલી જીત અમારી મહેનતનું પરિણામ
પ્રસાદે વધુમાં જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે મળેલી ઐતિહાસિક જીતમાં ભારતના 7 મહત્વના ખેલાડીઓ નહોતા તેમ છતાં પણ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવવામાં સફળ રહી હતી. આ જીત અમારા અથાગ પરિશ્રમનું જ પરિણામ છે.
ભારતીય ટીમે ટેસ્ટ વિશ્વકપના ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો તેના પર પ્રસાદે કહ્યું કે, છેલ્લા 4 વર્ષથી ટીમ ટેસ્ટમાં પ્રથમ સ્થાને છે, ભારતીય ટીમની પ્રગતિથી હું ઘણો આનંદમાં છું અને ગર્વ પણ અનુભવું છું કે હું ટીમની સફળતામાં પોતાનો ફાળો આપવામાં સક્ષમ રહ્યો. ફાઈનલ મેચમાં પણ ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે તેવી આશા છે.