ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા બાદ રાજકીય ધમસણ મચી ગયું છે. ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરોડો રૂપિયાના બેહિસાબી ટ્રાન્જેકશન બહાર આવ્યાં છે. મધ્ય પ્રદેશનાં મુખ્યપ્રધાન કમલનાથનાં નિકટનાં સહયોગીઓ અને અન્ય વિરુદ્ધ દરોડાની કાર્યવાહી દરમિયાન રૂ. ૨૮૧ કરોડની બેહિસાબી રોકડનું રેકેટ બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહીને ઈન્કમટેક્સ વિભાગના ૩૦૦થી વધુ અધિકારીઓએ અંજામ આપ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ચાર રાજ્યોમાં બાવન સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. આ કાર્યવાહી દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે બેહિસાબી રોકડનું એક વિસ્તૃત અને સુસંગઠિત રેકેટ ઝડપી પાડ્યું છે. વિભાગે જણાવ્યું છે કે અધિકારીઓએ રૂ. ૧૪.૬ કરોડની બેહિસાબી કેસની જપ્તી કરી છે અને મધ્ય પ્રદેશ તથા દિલ્હી વચ્ચે થયેલા શકમંદ પેમેન્ટ સાથે સંકળાયેલી ડાયરી અને કમ્પ્યૂટર ફાઈલો પોતાના કબજામાં લીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝ (સીબીડીટી) દ્વારા જણાવાયું છે કે ઈન્કમટેક્સ વિભાગને રૂ. ૨૦ કરોડની શકમંદ રોકડના તુગલક રોડ પર રહેતી એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિના ઘરથી દિલ્હીનાં મોટા રાજકીય પક્ષના હેડક્વાર્ટર સુધી જવાના સુરાગ પણ મળ્યાં છે.
સીબીડીટીએ મોડી રાત્રે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અત્યાર સુધી શરાબની ૨૫૨ બોટલો, કેટલાંક શસ્ત્રો અને વાઘની ચામડા ઉપરાંત રૂ. ૧૪.૬ કરોડની બેહિસાબી રોકડ રકમ મળી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે મધ્ય પ્રદેશમાં દરોડાની કાર્યવાહી દ્વારા બિઝનેસ, રાજકારણ અને જાહેર સેવા સહિતની કેટલીક વ્યક્તિઓ દ્વારા રૂ. ૨૮૧ કરોડની બેહિસાબી રોકડ રકમ એકત્ર કરવાનું વ્યાપક અને સુસંગઠિત રેકેટનો પર્દાફાશ થયો છે. આ રોકડનો એક ભાગ દિલ્હીમાં એક મોટા રાજકીય પક્ષના હેડક્વાર્ટર્સ સુધી મોકલવામાં આવી છે. જેમાં એ રૂપિયા ૨૦ કરોડનો પણ સમાવેશ થાય છે.
જે તાજેતરમાં હવાલા મારફતે દિલ્હીના તુગલક રોડ પર રહેતા એક વરિષ્ઠ પદાધિકારીના ઘરથી રાજકીય પક્ષના હેડક્વાર્ટર્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જોકે સીબીડીટીએ આ રાજકીય પક્ષ અને તેના વરિષ્ઠ પદાધિકારીની ઓળખ જારી કરી નથી. નિવેદનમાં એવું જણાવ્યું છે કે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીના નિકટના સગાં સંબંધીની ગ્રૂપ પર દરોડા દરમિયાન ૨૩૦ કરોડની બેહિસાબી લેવડદેવડની રોકડ પુસ્તિકા રેકોર્ડિંગ, નકલી બિલો દ્વારા રૂ. ૨૪૨ કરોડથી વધુ રકમની વસુલાત અને કરચોરી કરનાર ૮૦ કંપનીઓથી વધુની જાણકારી સહિત અપરાધ પુરવાર કરે તેવા પુરાવા જપ્ત કર્યા છે.
રૂ. ૨૪૨ કરોડનાં નકલી બિલો ૮૦થી વધુ નકલી કંપનીઓનાં હોવાનાં પુરાવા હાથ લાગ્યાં છે. કમલનાથનાં સલાહકાર રાજેન્દ્ર મિગલાનીના ઘરે ૩૦ કલાક કરતાં વધુ દરોડાની કાર્યવાહી ચાલી હતી. વિભાગને ઈલેકશન બોન્ડ ખરીદવાના દસ્તાવેજ મળ્યા છે. દસ્તાવેજમાં લખ્યું છે કે ઈલેકશન બોન્ડ દરોડા દરમિયાન અનેક ડાયરીઓ અને કમ્પ્યૂટર પર કેટલાક મહિનાનો હિસાબ મળ્યો છે. નકલી સેલ કંપનીઓ દ્વારા રૂ. ૨૫૦ કરોડ કરતાં વધુ રકમનું કાળું નાણું સફેદ કરવાનો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.