હવે શેર વેચ્યા બાદ તમારે એકાઉન્ટમાં પૈસા જમા થાય તે માટે ત્રણ દિવસ રાહ જોવી નહીં પડે. શેરના પેમેન્ટ માટે આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ દ્વારા ઇ-એટીએમ નામની નવી સેવા શરૂ કરવામાં આવી છે
જેમાં તમે શેર વેચી દીધા બાદ ૩૦ મિનિયની અંદર પૈસા મળી જશે જોકે તેમાં એક શરત એ છે કે તમારે રૂ. ૫૦ હજાર સુધીના શેરનું વેચાણ કરવું પડશે. ઇ-એટીએમ માટે કોઇ ખાસ ચાર્જ લેવામાં આવશે નહીં.
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના ગ્રાહકો પોતાના શેર બીએસઇ પર વેચશે તો તેમને માત્ર અડધો કલાકમાં પૈસા મળી જશે. બીએસઇ પર ટ્રેડ થનારા ૬૦૦ શેર પર આ સુવિધા મળશે.
આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ એકાઉન્ટ લગભગ એટીએમની જેમ કામ કરશે અને ક્લાયન્ટસ પોતાના શેર બીએસઇ પર વેચીને ૩૦ મિનિટમાં એટીએમથી પૈસા ઉપાડી શકશે.
હવે એસબીઆઈ એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન
એસબીઆઇના ગ્રાહકો માટે સારા સમાચાર છે. એસબીઆઇના ગ્રાહકો હવે એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. અત્યાર સુધી ગ્રાહકોને મર્યાદિત સંખ્યામાં ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા ઉપલબ્ધ હતી જોકે અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનનો લાભ લેવા ગ્રાહકોને કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
આ માટે તમારે ખાતામાં મન્થલી એવરેજ બેલેન્સ રૂ. એક લાખ રાખવું પડશે અને તો જ તમે એટીએમથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો.
અત્યારે એસબીઆઇના ખાતાધારકોને મેટ્રો સિટીમાં આઠ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા દર મહિને મળે છે જેમાં પાંચ ટ્રાન્ઝેક્શન એસબીઆઇ એટીએમનાં અને ત્રણ ટ્રાન્ઝેક્શન બીજી બેન્કના એટીએમથી કરી શકાય છે.