જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીની નજરકેદ પર પહેલીવાર સરકારનાં કોઈ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જમ્મૂ-કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મહિનાઓથી નજરકેદમાં છે. ઘણીવાર વિપક્ષી નેતાઓ દ્વારા તેમને છૂટા કરવાની માંગ કરવામાં આવે છે પરંતુ હવે દેશનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે મોટું નિવેદન આપતાં કહ્યું કે તેઓ પ્રાર્થના કરે છે કે આ ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને વહેલા છૂટા કરી દેવામાં આવે. જે બાદ સમગ્ર દેશની રાજનીતિમાં તે ચર્ચાઓ વિષય બની રહ્યું છે.
ધારા 370 હટાવી તે સમયથી ત્રણેય મોટા નેતા નજરકેદ
રક્ષામંત્રી રાજનાથ સિંહનાં નિવેદન બાદ દેશભરમાં ફરીવાર કાશ્મીરની ચર્ચા
કાશ્મીરની પરિસ્થિતિ સુધારવા માટે ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી યોગદાન આપે તેવી અપીલ
રક્ષામંત્રી રાજનાથસિંહે શનિવારે કહ્યું કે તે જમ્મૂ કાશ્મીરનાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ નજરકેદમાંથી છૂટા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને તે લોકો જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામન્ય બનાવવામાં યોગદાન કરે. નરેન્દ્ર મોદી સરકારે પાંચ ઓગસ્ટનાં રોજ જમ્મૂ કાશ્મીરમાંથી રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દીધી હતી. રાજ્યને બે ભાગમાં વહેંચીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે. તે સમયથી મેહબુબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા નજરકેદમાં છે.
મોટા ભાગના રાજનેતાઓને છૂટા કરી દેવામાં આવ્યા છે પરંતુ આ ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી હજુ નજરકેદમાં છે. સૌથી પહેલાં ફારુક અબ્દુલ્લાને સાર્વજનિક સુરક્ષા અધિનિયમ હેઠળ નજરકેદ કર્યા અને તે બાદ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણ આ અધિનિયમ હેઠળ નજરકેદ કરવામાં આવ્યા હતા.
શનિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું 'કાશ્મીર શાંતિપૂર્ણ રહ્યું છે. સ્થિતિ ખૂબ ઝડપથી સામાન્ય થઇ રહી છે. પરિસ્થિતિ પ્રમાણે જ આ નિર્ણયો પર પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે.' વધુમાં જણાવતા કહ્યું કે 'હું એ પ્રાર્થના કરું છું કે તે લોકો બહાર આવે અને કાશ્મીરની પરિસ્થિતિ સુધારવામાં પોતાનું યોગદાન આપે'