ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને મોટો સંદેશ આપ્યો છે.
ભાજપ સંસદીય દળમાં પીએમ મોદીનું સંબોધન
મેં CM અને PM રહેતા ક્યારેય રજા નથી લીધી : મોદી
ભાજપ સાંસદોને પહેલા પણ રજા મામલે પીએમ આપી ચૂક્યા છે ઠપકો
જે પણ કામ કર્યું તે ઇતિહાસ બની જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું મેં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહેતા ક્યારેય એક પણ રજા લીધી નથી, જે પણ કામ કર્યું છે તે ઇતિહાસ બનશે.
આ પહેલા પણ સાંસદોને આપ્યો હતો ઠપકો
નોંધનીય છે કે આ પહેલા પણ સાંસદોની ઉપસ્થિતિને લઈને પીએમ મોદીએ ઘણીવાર સાંસદોને ઠપકો આપ્યો છે. 10મી માર્ચે પીએમ મોદી સાંસદોને કહ્યું હતું કે બધા જ સાંસદોએ સત્રમાં હાજ રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ યોગ્ય નથી કે પાર્ટીના સાંસદોને વારંવાર હાજર રહેવા માટે કહેવું પડે.
આજે દિલ્હીમાં હતી ભાજપની મહત્વપૂર્ણ બેઠક
નોંધનીય છે કે આજે જે બેઠક કરવામાં આવી હતી તે પહેલા 17મી માર્ચે યોજાવાની હતી પરંતુ હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ તે બેઠક રદ કરી દેવામાં આવી હતી. કથિત રૂપે કહેવામાં આવ્યું છે કે તેમણે પોતાના આવાસ પર જ આપઘાત કર્યો હતો, પોલીસ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.
વર્ષ 2001થી સતત સત્તાના શિખર પર છે નરેન્દ્ર મોદી
વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને તે બાદ સતત જીત હાંસલ કરતાં રહ્યા અને પદ પર રહ્યા. વર્ષ 2014માં 26મી મેના રોજ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. પીએમ મોદી ક્યારેય રજા નથી લેતા તે મુદ્દે અગાઉ ઘણીવાર ઘણા નેતાઑએ વખાણ પણ કર્યા છે.