કન્યાકુમારીથી મેગા-યાત્રાના પ્રારંભ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી
'ભારત જોડો યાત્રા'ની શરૂઆત પહેલા રાહુલ ગાંધીની ઈમોશનલ પોસ્ટ
મારા પિતાને ગુમાવ્યા પણ દેશ નહીં ગુમાવુ, નફરત પર પ્રેમનો વિજય થશે: રાહુલ
આજથી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત પહેલા, પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ભાવનાત્મક નોંધ શેર કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે તેમના પિતાને "નફરતની રાજનીતિ"માં ગુમાવ્યા છે અને તેઓ "આમાં તેમના પ્રિય દેશને ગુમાવવા" તૈયાર નથી. આજે સવારે કન્યાકુમારીથી મેગા-યાત્રાના પ્રારંભ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી.
મહત્વનું છે કે, શ્રીપેરુમ્બુદુર એ જ જગ્યા છે જ્યાં 21 મે, 1991ના રોજ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર સાથે ટ્વિટ કર્યું, "નફરત અને ભાગલાની રાજનીતિમાં મેં મારા પિતાને ગુમાવ્યા. હું મારા પ્રિય દેશને પણ ગુમાવીશ નહીં. પ્રેમ નફરતને જીતશે. આશા ડરને હરાવી દેશે. આપણે બધા સાથે મળીને જીતીશું."
I lost my father to the politics of hate and division. I will not lose my beloved country to it too.
પિતાના સ્મારકની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધી મહાત્મા ગાંધી મંડપમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા કન્યાકુમારી જવા રવાના થયા હતા. અહીંયા મુખ્યમંત્રી એમકે સ્ટાલિન યાત્રાના પ્રારંભ માટે તેમને રાષ્ટ્રધ્વજ સોંપશે. કોંગ્રેસે કહ્યું છે કે આ દેશમાં અત્યાર સુધીની સૌથી લાંબી રાજકીય કૂચ છે. આ યાત્રા આજે સાંજે 5 વાગ્યે એક સમારોહમાં શરૂ થશે અને આવતીકાલે સવારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટરની પદયાત્રા શરૂ થશે. આ યાત્રા લગભગ 150 દિવસ સુધી ચાલશે.