ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપમાં અંદરો અંદર એવો કકળાટ શરૂ થયો છે કે, ભાજપના જ કોર્પોરેટરે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ભાવનગર ભાજપમાં મેયર મામલે કકળાટ!
મને કેમ મેયર ન બનાવીઃ વર્ષાબા પરમાર
"મારી સાથે કેમ અન્યાય કર્યો?"
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. રાજ્યના 6 મહાનગરોમાં તથા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. 6 મહાનગરોમાં ભાજપની સત્તા આવી છે. મેયરના નામો પણ જાહેર કરી દેવાયા છે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપમાં અંદરો અંદર એવો કકળાટ શરૂ થયો છે કે, ભાજપના જ કોર્પોરેટરે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
આજે અમૃત મહોત્સવના કાર્યક્રમમાં ભાજપના આ કોર્પોરેટર અને મંત્રી વિભાવરી બેન દવેનો ભેટાળો થઈ ગયો હતો. તો નગરસેવક વર્ષાબા પરમારે મંત્રી વિભાવરી બેનને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. જેનો જવાબ આપ્યા વગર મંત્રી શ્રીએ ચાલતી પકડી હતી. કોર્પોરેટર વર્ષાબાએ વિભાવરી બેન પર કેટલાક આક્ષેપો પણ લગાવ્યા હતા.
ભાજપમાં જ અંદરો અંદર આ કકળાટ પાછળનું કારણ એ છે કે, વર્ષાબાને ભાવનગરના મેયર બનવું હતું. છેલ્લે સુધી તેમનું નામ નક્કી હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ કપાઈ ગયું અને કીર્તિબેન દાણીધારીયાની વરણી થઈ ગઈ. જેના કારણે વર્ષાબા રોષે ભરાયા હતા.
થોડા દિવસ પહેલા તેમણે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર પણ આક્ષેપ કર્યા હતા. અને આજે તેમને મંત્રી વિભાવરીબેને જ મારુ નામ કાપ્યું તેવા આક્ષેપો કર્યા હતા. ભાજપમાં ભાગ્યે જ જોવા મળતા આવા દ્રશ્યોને કારણે હાલ ભાવનગરની આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.