હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'સારું કામ કરવા માટે ઉત્સાહ ધરાવે એ બધા નાગરિકો ભાજપમાં આવકાર્ય.'
હાર્દિક પટેલમાં ભાજપમાં જોડાવવા અંગે નીતિન પટેલનું નિવેદન
જેને સમાજ સેવા કરવાનો ઉત્સાહ હોય તેને ભાજપ આવકારે છેઃ નીતિન પટેલ
2 જૂનના રોજ હાર્દિક CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે
2 જૂનના રોજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં હાર્દિક કમલમ ખાતે કેસરિયા કરશે. ત્યારે આ અંગે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'મારી પાસે હાર્દિક બાબતે સત્તાવાર માહિતી નથી.'
રાજદ્રોહ કેસ બાબતે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં: નીતિન પટેલ
નીતિન પટેલે જણાવ્યું કે, 'જેને સમાજ સેવા કરવાનો ઉત્સાહ હોય તેને ભાજપ આવકારે છે. રાજદ્રોહ કેસ બાબતે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં. કોઈ પણ વ્યક્તિ સજા કરીએ કે કોઇને આરોપી ગણીએ કે અમે કોઇ એવાં મહાત્મા નથી કે કોઇને પાપીલા ગણીએ. અમારી માટે જે દરેક વ્યક્તિ સાચું કામ, સારું કામ કરવા માટે ઉત્સાહ ધરાવે એ બધા નાગરિકો ભાજપમાં આવકાર્ય છે. હું કોઇ વ્યક્તિ માટે કે વ્યક્તિ વિશેષ માટેની આ વાત નથી કરતો. હું આ જનરલ વાત કરી રહ્યો છું કે કોઇ પણ વ્યક્તિ એ સારું કામ, સાચું કામ કે સમાજનું કામ, પ્રજાની સેવા કરવાનું કામ કે દેશની સેવા કરવાનું કામ, રાષ્ટ્રસેવા કરવાનું કામ અમારા ભારતીય જનતા પક્ષના માધ્યમથી કરવા માટે ઇચ્છતા હોય, રાજકીય પ્લેટફોર્મમાં પ્રવેશ કરી રાજકીય માધ્યમથી દેશની સેવા કરવા ઇચ્છતા હોય એવાં દરેક વ્યક્તિઓ જે અમારા ભાજપના નીતિ નિયમો અને સિદ્ધાંતોમાં જે લોકોને શ્રદ્ધા છે તેવાં તમામ લોકો ભાજપમાં આવકાર્ય છે.'
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે ખુદ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, 'હાર્દિક પટેલ 2 જૂને ગાંધીનગરના કમલમ ખાતેથી ભાજપમાં જોડાશે. ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હાર્દિક અને તેના સાથી જોડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને હાર્દિક ભાજપમાં જોડાશે. 2 જૂને બપોરે 12 વાગ્યે તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે. અગાઉ આદિવાસી અને OBC નેતાઓ પણ જોડાયા હતાં. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.' નોંધનીય છે કે, 2 જૂનના રોજ હાર્દિક પટેલ ગાંધીનગરના કમલમ ખાતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. 2 જૂને બપોરે 12 વાગ્યે તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે.
ભાજપ ખરેખર હાર્દિક પટેલને લેવા માંગે છે કે નહીં : ગીતા પટેલ, કોંગ્રેસ નેતા
હાર્દિક ભાજપમાં જોડાશે તે વાત પર શંકા સેવનાર કોંગ્રેસના નેતા બીજુ કોઇ નહી પરંતુ ગીતાબેન પટેલ જ છે. 2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા ગીતાબેન પટેલે શંકા સેવી છે કે શું ભાજપ હાર્દિક પટેલને લેશે ખરા ? વીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં ગીતાબેન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી ભાજપમાં જોડાવા 3થી4 તારીખો પડી. મને તો શંકા એ છેકે હાર્દિક પટેલ એવી પરિસ્થિતિમાં ન મૂકાઇ જાય કે ન ઘરના રહે કે ઘાટના. ભાજપ હાર્દિકને ખરેખર લેવા માંગે છે કે નથી લેવા માંગતા ? આ પણ એક મોટો સવાલ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 31, 2022
પાટીદાર સમાજના કાર્યકર્તાઓનો વિરોધ છે: ગીતા પટેલ
વધુમાં જણાવ્યું કે જો ભાજપ હાર્દિકને ખરેખર લેવા માંગતા હોય તો હમણા પીએમ આવી ચૂક્યા. બે દિવસ બહુ મોટા કાર્યક્રમો થયા. આ દિવસોમાં તૈયારી હતી કે તેઓ કેસરિયો ધારણ કરશે. ભાજપમાં જવાનું નક્કી છે પણ ક્યારે આ લોકો ખેસ પહેરાવે છે ?મને તો દુઃખ એ વાતનું છે કે પાટીદાર સમાજના જે કાર્યકર્તાઓ છે, વર્ષોથી પાર્ટીમાં કામ કર્યુ છે એ લોકોનો અંદરોઅંદર વિરોધ છે એટલે તારીખો પડી રહી છે. એટલે મને શંકા જાય છે કે ખરેખર હાર્દિક પટેલને લેશે કે નહીં લે?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે તો કેટલાક પક્ષ સાથે છેડો ફાડી ચૂક્યા છે.ત્યારે હવે કોંગ્રેસ પક્ષ છોડી ચૂકેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે. તેઓ 2જી જૂને હાર્દિક પટેલની સાથે ભાજપમાં જોડાશે.
હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધુ છે. તારીખો પણ સામે આવી ગઇ છે. ત્યારે 2જી જૂને હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે શ્વેતાએ પણ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.