બોલીવુડના ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે તાજેતરમાં કહ્યું હતું કે કમર્શિયલ ફિલ્મો પણ સમાજમાં ફેરફાર લાવી શકે છે એવું હું મારી તાજેતરની ફિલ્મો પરથી સમજ્યો છું.
અક્ષય કુમારે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતની હાકલ કરી ત્યારબાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અન્ય કલાકારોનો સાથ મેળવીને ખુલ્લામાં ગુરુશંકા કરવાનું અટકાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અક્ષય કુમારે તે સમયગાળામાં ટૉયલેટ એક પ્રેમકથા ફિલ્મ બનાવી હતી. જે હિટ નીવડી હતી.
ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારે પેડમેન બનાવી હતી જેમાં પહેલીવાર મહિલાઓના માસિકસ્રાવની વાત વણી લેવામાં આવી હતી. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને સેનિટરી નેપકીન્સ સોંઘા મળી રહે એ માટે કામ કરનારા અરુણાચલમની બાયો-ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય રોલ કરીને સેનિટરી નેપકીન્સના પ્રચારની દિશામાં માતબર કામ કર્યું હતું.
અક્ષય કુમારે કહ્યું કે આ બંને ફિલ્મો કમર્શિયલ ફિલ્મો હતી અને બંને ફિલ્મોએ સારો એવો સામાજિક સંદેશો વહેતો કર્યો હતો જે કરોડો લોકો સુધી પહોંચ્યો હતો. એણે કહ્યું કે કમર્શિયલ ફિલ્મો પણ પોઝિટિવ સામાજિક સંદેશા દ્વારા પરિવર્તન સર્જી શકે છે એ મને આ ફિલ્મો દ્વારા સમજાયું હતું. માત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મો દ્વારા તમે દેશના ખૂણે ખૂણે મહત્ત્વનો સંદેશો પહોંચાડી શકો નહીં.