વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઇને બિહારના પાલીગંજમાં રેલીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સંપત્તિને લઇને હલ્લા બોલ કર્યું.
પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે જેટલા પણ આ મહામિલાવટી છે, આ ઘોર નકારાત્મકતા સાથે ચૂંટણી લડી રહ્યાં છે. તેમની પાસે બે જ મુદ્દા છે, મોદીની છબીને ખરાબ કરો અને મોદીને હટાવો. જો કે આ મહામિલાવટી લોકોને અનુભૂતિ નથી કે મોદી આજે અહીં 130 કરોડ ભારતીયોના આશીર્વાદથી છે. કોંગ્રેસના નામદાર પરિવાર હોય કે બિહારનો ભ્રષ્ટ પરિવાર, તેમની સંપત્તિ આજે હજારો કરોડો રૂપિયામાં છે.
આ પૈસા આવ્યાં ક્યાંથી? જો ગરીબ લોકોની થોડી પણ સંભાળ હોત, જો દેશની જરા પણ કદર હોત, તો ભ્રષ્ટાચાર કરતાં પહેલા તેમના હાથ કાંપી ઉઠત. બિહારના ગામે-ગામની આશાઓને, સપનાઓને નવી ઉંચાઇ પર લઇ જવા, ગરીબથી ગરીબ સુધી ટેકનોલોજીને અમે કેવી રીતે પહોંચી રહ્યાં છે, તેનું ઉદાહરણ છે ડિજીટલ ઇન્ડિયા અભિયાન.
ભાજપ-એનડીએ સરકારની નીતિઓના કારણે આજે દુનિયામાં સૌથી સસ્તુ ઇન્ટરનેટ ભારતમાં છે. અમે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છીએ. આમ પીએમ મોદીએ આરજેડી સુપ્રીમ લાલૂ યાદવ પરિવાર પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદે મિલકતને લઇને આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ લાલુ યાદવનું નામ લીધા વગર કહ્યું કે આ ભ્રષ્ટ પરિવારે પોતાના દિકરાને પાર્ટીનું નેતૃત્વ સોંપી દીધુ પરંતુ રાજ્યના નવયુવાનોને દબંગાઇના રસ્તે ધકેલી દીધા.
પીએમ મોદીએ યાદવોની વસ્તી ધરાવતી બેઠક પર ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ કરી કહ્યું કે તેઓ યદુવંશની ધરતી પરથી આવ્યાં છે અને સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ તેમના પ્રેરણા સ્ત્રોત છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે -જ્યારે જરૂરિયાત પડશે ત્યારે ભારત આતંકવાદીઓ વિરુધ્ધ સુદર્શન ચક્રધારી કૃષ્ણનું સ્વરૂપ લઇને કાર્યવાહી કરશે.
પીએમ મોદીએ પાલીગંજમાં શીખોને લઇને હમદર્દી જતાવતાં જણાવ્યું કે હું પટના સાહિબની ધરતીથી કોંગ્રેસના નામદારોની ભૂલ યાદ અપાવા ઇચ્છું છું. જ્યારે હજારો શીખોનો નરસંહાર થયો, તો પણ માફી માગવાના બદલે આ લોકો શું કરી રહ્યાં છે? કેટલો અહંકાર છે. નામદારોની, કોંગ્રેસની સાચી હક્કીત આ જ છે.