દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારો બાદ તાજેતરમાં તારક મહેતા શોના ડિરેક્ટર માલવ રાજડાએ પણ શો છોડી દીધો હતો.
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફિક્કું પડી રહ્યો છે
ચાહકોને પણ લાગ્યું કે હવે શોની ટીઆરપી પહેલા જેવી નહીં રહે
ટીઆરપી ગ્રાફ સતત ઉપર અને નીચે જતો રહે છે
ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવે છે. આ શોમાં દરેક કેરેક્ટરની પોપ્યુલારિટી અલગ છે. પરંતુ શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચમકતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફિક્કું પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે એટલા માટે એક પછી એક સ્ટાર્સ આ શોને અલવિદા કહી રહ્યા છે. દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારો બાદ તાજેતરમાં તારક મહેતા શોના ડિરેક્ટર માલવ રાજડાએ પણ શો છોડી દીધો હતો.
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) January 2, 2023
તારક મહેતા સિરિયલનું દિગ્દર્શન કરી રહેલા માલવ રાજડાએ પણ અલવિદા કહી દીધું એ પછી એવું માનવામાં આવતું હતું કે આનાથી શોની ટીઆરપીમાં મોટું નુકસાન થશે પણ શોનો હિસ્સો રહેલી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજા આ બાબતે અસહમત હતી. જણાવી દઈએ કે પ્રિયા ડાયરેક્ટર માલવ રાજડાની પત્ની છે, તે પણ ઘણા સમય પહેલા જ શોમાંથી એક્ઝિટ લઈ ચૂકી છે.
તારક મહેતામાંથી માલવ રાજડા પહેલા શૈલેષ લોઢા, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, રાજ અનડકટ જેવા ઘણા મોટા નામો શો છોડીને ચાલ્યા ગયા છે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાહકોની ફેવરિટ લિસ્ટમાં રહ્યું છે, જો કે ઘણી વખત આવા સવાલો ઉભા થયા છે કે હવે એ શો માં મજા નથી આવતી અને શોમાંથી આ પ્રખ્યાત કલાકારોની વિદાય મેકર્સ માટે પણ ચિંતાનો વિષય હતો. આ બધા વચ્ચે ચાહકોને પણ લાગ્યું કે હવે શોની ટીઆરપી પહેલા જેવી નહીં રહે.
શોની ઘટી રહેલી ટીઆરપી પર માલવની પત્ની પ્રિયાએ કહ્યું કે શોની ક્વોલિટીમાં કોઈ ઘટાડો થયો નથી પણ આ બધું જોનારાઓના દૃષ્ટિકોણના તફાવતને કારણે થયું છે. એક ઈન્ટરવ્યુમાં પ્રિયાએ જણાવ્યું હતું કે "હું ક્યારેય ટીઆરપીની આ નંબર ગેમ સમજી શકી નથી. પણ હું માનતી નથી કે તારક મહેતા... સિરિયલ બંધ થવાના આરે છે.
જો કે પ્રિયાએ એમ પણ કહ્યું હતું કે, ટીઆરપી ગ્રાફ સતત ઉપર અને નીચે જતો રહે છે કારણ કે આજકાલ લોકો ટીવી સિરિયલો સિવાય ઘણી બધી વસ્તુઓ જુએ છે. આજકાલ ટીવી પર એક નિશ્ચિત સમયે શો જોવાને બદલે લોકો એપ્સમાં જઈને પોતાની સુવિધા અનુસાર જોવાનું પસંદ કરે છે. દરેક વ્યક્તિ પોતાના કામથી ફ્રી થઈને પોતાની ઈચ્છા મુજબ શો કે મૂવી જોવાનું પસંદ કરે છે.
માલવ રાજડાએ તારક મહેતા શોનું છેલ્લું શૂટિંગ 15 ડિસેમ્બરે કર્યું હતું, શોના ડાયરેક્ટર માલવ રાજડા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ઘણો અણબનાવ હતો અને એ કારણે એમને શો છોડવાનો નિર્ણય કર્યો. પણ માલવ રાજડાએ આ તમામ અટકળો પર ફૂલસ્ટોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ મતભેદો સામાન્ય છે પણ તે શોને સારું બનાવવા માટે થાય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારો કોઈ અણબનાવ નથી, હું શો અને અસિત ભાઈનો આભારી છું.
માલવ રાજડાએ કહ્યું હતું કે, '14 વર્ષ સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યો ગયો છું અને મને લાગે છે કે તમારી જાતને સર્જનાત્મક રીતે વિકસાવવા માટે આગળ વધવું જરૂરી છે અને આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો રહ્યા છે. આ શોથી મને માત્ર પ્રસિદ્ધિ અને પૈસા જ નથી મળ્યા, પરંતુ મારી લાઈફ પાર્ટનર પ્રિયા પણ મને અંહિયા જ મળી છે.