હાલમાં પૂર્વ કેપ્ટન અને ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન એમ.એસ.ધોનીની નિવૃતિને લઇને ક્રિકેટના ફેન્સમાં સતત ચર્ચા થઇ રહી છે. પૂર્વ ભારતીય બેટ્સમેન અને ભાજપના નેતા ગૌતમ ગંભીર સતત ક્રિકેટથી જોડાયેલા મુદ્દા પર વાત કરે છે. ગૌતમ ગંભીરે પોતાના પૂર્વ સાથી ધોનીના સંન્યાસને લઇને વાત કરી હતી.
મહેન્દ્રસિંહ ધોની 2019ના વર્લ્ડ કપ પછી એકપણ મેચ રમ્યો નથી
ગંભીરે કહ્યું કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પ્રાથમિકતા હોવી જોઈએ અને ટીમે ધોનીથી આગળ જોઈને પંત અને સેમસનને તક આપવી જોઈએ
એક ઇન્ટવ્યૂમાં ગૌતમ ગંભીરને ધોની વિશે પૂછવામાં આવ્યુ કે, ધોનીના સંન્યાસ પર પર શું વિચારો છો? તો ગંભીરે સ્ષપ્ટ શબ્દોમાં કહ્યુ કે, નિવૃત્તિનો નિર્ણય એક અંગત વસ્તુ છે, પરંતુ તે સાથે હું એ પણ કહીશ કે મને નથી લાગતું કે ધોની આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હશે. તમે તમારી ઈચ્છા અનુસાર જયારે મન હોય ત્યારે રમી ન શકો, ભવિષ્ય અંગે વિચારવું જરૂરી છે.
ભાજપના નેતાએ આગળ કહ્યું કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અથવા અન્ય કોઈ સીનિયર ખેલાડીએ સામે આવીને કહેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી અને આપણે અન્ય યુવા ખેલાડીઓ સામે જોવાની જરૂર છે. અંતમાં દેશ પ્રાથમિકતા છે, ધોની નહીં. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, ધોની આવનાર વર્લ્ડ કપ રમશે કે નહીં તેના કરતા વધુ મહત્ત્વનું એ છે કે ભારત તે વર્લ્ડ કપ કઈ રીતે જીતશે. રિષભ પંત અને સંજુ સેમસન જેવા યુવા ખેલાડીઓને તક મળી જોઈએ. મારા અનુસાર ભારતીય ક્રિકેટે હવે ધોનીથી આગળ જોવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019 ના પછી એમ.એસ.ધોનીએ ટીમ ઇન્ડિયા માટે કોઇ મેચ રમી નથી. વર્લ્ડ કપ પછી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ઘરેલૂ સીરિઝમાં પણ ધોની ટીમનો ભાગ ન હતો. ધોનીના સંન્યાસના ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેના તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી