ટીમ ઇન્ડિયામાં નંબર 4 માટે કોણે રમાડવા તે અંગે સતત અટકળો ચાલી રહી છે. વર્લ્ડકપ સેમિફાઇનલથી હારીને બહાર થયા પછી આ અંગે ઘણા સવાલો થયા. કેપ્ટન, કોચ, ટીમ મેનેજમેન્ટની સાથે સાથે સિલેક્ટર્સને પણ સવાલો થયા, પરંતુ હજુ સુધી આ માટે કોઇ યોગ્ય બેટ્સમેન ના મળ્યો. હવે નંબર પર 4 પર બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયામાંથી છેલ્લા કેટલાય સમયથી બહાર રહેલા સુરેશ રૈનાએ દાવેદારી નોંધાવી છે.
ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહેલ રૈના નવેમ્બર સુધીમાં ક્રિકેટ રમવાનું શરૂ કરશે
હુ હજુ પણ નંબર 4 પર બેટિંગ કરી શકું છું: સુરેશ રૈના
રૈનાએ કહ્યું કે, રિષભ પંત પોતાની નેચરલ ગેમ રમી રહ્યો નથી
2018માં ઇંગ્લેન્ડ વિરુદ્ઘ પોતાની છેલ્લી મેચ રમનાર સુરેશ રૈના અનુસાર, ''હજુ પણ વનડે અને T-20 ટીમમાં નંબર 4 પર બેટિંગ કરવા માટે આવી શકે છે. આગામી વર્ષે થનારા વર્લ્ડ T20 માટે ટીમમાં શામેલ થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું ભારત માટે નંબર 4 પર બેટિંગ કરી શકું છું. મેં પહેલા પણ આ નંબર પર આવીને બેટિંગ કરીને સારુ ફોર્મ બતાવ્યુ છે. હું તકની રાહ જોઇ રહ્યો છું.''
ટીમ ઇન્ડિયામાં નંબર 4ના સ્થાન માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. થોડા સમય સુધી અંબાતી રાયડૂને નંબર 4 પર રમાડ્યા પછી સિલેક્ટર્સે વર્લ્ડકપ માટે વિજય શંકરને ટીમ માટે પસંદ કર્યો. વિજય શંકર ઇજાગ્રસ્ત થયા પછી યુવા રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ પરંતુ તે સતત પોતાના ફોર્મથી નિરાશ કરી રહ્યો છે.
સુરેશ રૈનાએ આગળ કહ્યુ કે, ''અત્યારનો નંબર 4- રિષભ પંત પોતાની નેચરલ ગેમ રમી રહ્યો નથી. તે કન્ફ્યૂઝ લાગે છે. તે સિંગલ્સ લેવા માટે અને બ્લોક કરવા માટે બેટિંગ કરી રહ્યો છે. કોઈ સીનિયર ખેલાડીએ તેની સાથે વાત કરવી જોઈએ અને તેને માર્ગદર્શન આપવું જોઈએ. મારુ માનવું છે કે તેને તેની નેચરલ ગેમ રમવાની છૂટ આપવી જોઈએ.''
ધોનીને લઇને સુરેશ રૈનાએ કહ્યુ કે, ''ધોની હજુ પણ ટીમને ઘણું આપી શકે છે. તે હજુ પણ ફિટ છે અને એક શાનદાર વિકેટકીપર છે અને સૌથી સારો ફિનિશર છે. T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે ધોની મહત્વપૂર્ણ સાબિત થશે.''
લેફ્ટ હેન્ડ બેટ્સમેન રૈનાએ ટીમ ઇન્ડિયા માટે 226 વનડેમાં 35.31ની એવરેજથી 5615 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સેન્ચુરી અને 36 હાફ સેન્ચુરી મારી હતી. તેણે 78 T-20માં 1605 રન કર્યા છે. આ દરમિયાન તેણે 134.87ની સ્ટ્રાઇક રેટ અને 29.18ની એવરેજથી રન કર્યા છે. તેણે T-20માં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી કરી છે.