બજેટ પહેલા નાણા મંત્રી સીતારામણે એક ખાસ ઈન્ટરવ્યુમાં મધ્યમ વર્ગને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું જેનાથી બજેટમાં ટેક્સ લાભ મળે તેવી ચર્ચા શરુ થઈ છે.
કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન
વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી
5 લાખની આવક તો ટેક્સ ફ્રી જ છે
મધ્યમ વર્ગની હોવાથી તેમના બોજાને સમજી શકું છું
1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2023ના વર્ષનું બજેટ રજૂ કરવાના છે. મોંઘવારીથી પીડિત સામાન્ય લોકોને આ વખતે પણ તેમની પાસેથી કંઈક મોટાની આશા છે. બજેટ પહેલા તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં બોલતાં સીતારામણે પોતાની જાતને કોમન મેન ગણાવી દીધા હતા. કેન્દ્ર સરકારના આટલા મોટા હોદ્દા પર બિરાજમાન નાણા મંત્રીના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ નોંધ લેવાઈ હતી અને લોકોએ તેમના નિવેદનને વધાવ્યું હતું. સીતારામણે કહ્યું કે પોતે સામાન્ય પરિવારમાંથી આવે છે તેથી સામાન્ય પરિવારની જે પણ મુશ્કેલીઓ છે તેને તેઓ સારી રીજે સમજી શકે છે અને બજેટમાં જે પણ વધારે સારુ થઈ શકતું હોય તે સરકાર કરશે. તેમનું કહેવું છે કે સરકાર ખેડૂતો માટે કામ કરતી રહેશે અને મધ્યમ વર્ગને પણ ઘણું આપતી રહેશે.
"I belong to middle class, aware of issues": Sitharaman ahead of Union Budget
મધ્યમ વર્ગને હજુ વધારે આપીશું
આરએસએસના મુખપત્ર પાંચજન્ય (મેગેઝીન)ને આપેલા ઈન્ટરવ્યુમાં બોલતાં નિર્મલા સીતારમણે કહ્યું કે હું પણ મધ્યમ વર્ગની છું. હું તેમના દબાણને સમજું છું. આ સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. અમે 5 લાખની આવક પર કોઈ ટેક્સ લગાડ્યો નથી. અમે 27 શહેરોમાં મેટ્રો લાવ્યા છીએ. મધ્યમ વર્ગ શહેર તરફ આગળ વધી રહ્યો છે. 100 સ્માર્ટ સિટી માટે પૈસા આપવામાં આવ્યા છે. ઘરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે કંઈક કરી શકાય છે. અમે તેમના માટે આવું કરવાનું ચાલુ રાખીશું. તેમણે સ્વીકાર્યું કે આ વર્ગ માટે હજી ઘણું બધું કરી શકાય તેમ છે.
સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી રહેશે
ખેડૂતોના બિલમાંથી હટવાના સવાલ પર સીતારમણે કહ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી રહેશે. તેમની આવક વધારવાના પ્રયાસો ચાલુ રહેશે. સરકારી ખર્ચમાં વધારા પર નિર્મલા સીતારમણે કહ્યું, "આજકાલ મૂડી ખર્ચ માટે ઘણા ભંડોળના વિકલ્પો છે. અમે એસેટ મોનેટાઈઝેશન લઈને આવ્યા છીએ. સંપત્તિ ભાડાપટ્ટે આપીને ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
બેંકોના કામકાજમાં અગાઉની અને હાલની સરકારની રીતમાં ફર્ક
નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોના કામકાજમાં અગાઉની અને વર્તમાન સરકારોની કામ કરવાની રીતમાં બદલાવ આવ્યો છે. સગાવાદ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. એસેટ ક્વોલિટી રિવ્યૂના કિસ્સામાં ચાર પગલા લેવામાં આવ્યા હતા. બેંકોની સમસ્યાઓની પહેલા ઓળખ કરવામાં આવી હતી. એનપીએ છે કે નહીં, ગ્રાહક પૈસા પરત કરવાની સ્થિતિમાં છે કે નહીં, તે જોવા મળ્યું હતું. બીજું, ઉકેલ પર ધ્યાન આપવામાં આવ્યું. ત્રીજું, તેનું પુનઃમૂડીકરણ કરવામાં આવ્યું હતું, એટલે કે બેન્કોને નાણાં આપવામાં આવ્યા હતા. ચોથું, સુધારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમને 4આર નામ આપવામાં આવ્યું હતું.
હવે લોન માટે બેન્કો પર કોઈના ફોન આવતા નથી
સીતારામણે કહ્યું કે હવે મોદી સરકારમાં બેંકોને મનમાની લોન આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે બેંકને લોન આપવા માટે કોઈ ફોન કરતું નથી. મોદી સરકારમાં બેંકના પૈસા પરત કરવા પડશે. હવે બેંકોની આર્થિક સ્થિતિ એટલી સારી છે કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે નાણાં એકત્ર કરી શકે છે. આથી તેમને યોગ્ય દરે પૈસા આપવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી.