ગૃહપ્રધાન અમિત શાહે પંજાબ-હરિયાણાના ખેડૂતોને રસ્તાને બદલે દિલ્હીમાં મેદાનમાં શિફ્ટ થઈને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવા માટે અપીલ કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતોને કહ્યું હતું કે કૃષિ મંત્રીએ ખેડૂતોને બેઠક કરીને ચર્ચા કરવા માટે 3 ડિસેમ્બરે આમંત્રિત કર્યા છે.
અમિત શાહે ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવા અને તેમની બધી માંગમાં તેમને મદદરૂપ થવા માંગે છે.
દિલ્હી પોલીસ ખેડૂતોને રક્ષણ આપશે
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ઘણી જગ્યાઓએ ખેડૂતો હાઈવે ઉપર ઠંડીમાં પોતાના ટ્રેક્ટર અને ટ્રેઇલરમાં જ રોકાઈ ગયા છે. આ ઠંડીમાં હું તેમને અપીલ કરું છું કે તેઓ દિલ્હી પોલીસ સાથે આવીને મોટા ગ્રાઉન્ડમાં શિફ્ટ થઇ જાય. ત્યાં તેમને ધરણા યોજવાની પોલીસ પરમિશન પણ મળી જશે. આ મેદાનમાં ટોઇલેટ, એમ્બ્યુલન્સ અને પોલીસ સુરક્ષા જેવી વ્યવસ્થા કરી દેવાઈ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જો ખેડૂત સંગઠન 3 ડિસેમ્બર પહેલા બેઠક કરવા માંગે છે તો હું તમને ખાતરી આપું છું કે તમે સૌથી પહેલા ધરણા માટે નક્કી કરાયેલા મેદાને પહોંચી જાઓ. સરકાર તમે પહોંચશો તેના બીજા દિવસે ચર્ચા ગોઠવવા માટે તૈયાર છે.