દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે એનસીપી પ્રમુખ શરદ પવારનું નામ પણ સામે આવી રહ્યું છે. પરંતુ શરદ પવારે નિવેદન આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શરદ પવારે કહ્યું કે હું રેસમાં નથી. હું રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર નથી.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષો ઉમેદવાર અંગે વિચારણા કરી રહ્યા છે. TOIના અહેવાલ મુજબ, શરદ પવારે સોમવારે NCP કેબિનેટની બેઠક દરમ્યાન કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર નથી. શરદ પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસે તાજેતરમાં જ તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ રવિવારે શરદ પવારને શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા હતા. NCP પ્રમુખ શરદ પવારનું નામ રાષ્ટ્રપતિ પદની રેસમાં ઘણી વખત સામે આવ્યું છે. પરંતુ સમયાંતરે, શરદ પવાર, આનો સ્પષ્ટ ઇનકાર કરતા, તેમની ઇચ્છાથી પીઠ ફેરવી લેતા હતા. પરંતુ તેમના નામની ચર્ચા યથાવત છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી (રાષ્ટ્રપતિ ચૂંટણી 2022)ની તૈયારી ચાલી રહી છે, જેના માટે વિરોધ પક્ષ તરફથી શરદ પવારનું નામ સામે આવી રહ્યું છે.
વિપક્ષી દળો શરદ પવારના નામ પર સહમત
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી અને DMK બાદ હવે શિવસેના પણ શરદ પવારના નામ પર સહમત થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગુરૂવારે શરદ પવારને મળ્યા હતા. આ પછી, રવિવારે AAP નેતા સંજય સિંહે શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી.
ક્યારે યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી ?
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે. જેને લઈ રાજકીય પક્ષોમાં ઉમેદવારને લઈ દોડધામ મચી છે. તેવામાં 15 જૂને TMC ચીફ મમતા બેનર્જીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ત્યારે વિપક્ષની આ તૈયારીને જોતા ભાજપના ટોચના નેતાઓ સક્રિય બન્યા છે.