વડોદરામાં આજે કોરોનાના 127 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 10327 થઇ છે. તો 157 દર્દીઓના મોત થયા છે. આજે વધુ 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 8622 દર્દી સાજા થયા છે. તેવામાં હવે વડોદરામાં ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે.
વડોદરામાં હાઈડ્રોક્સી ક્લોરોક્વિન દવાનો જથ્થો થયો ખલાસ
કોરોનાના દર્દીઓને અપાતી દવાનો જથ્થો ખલાસ
મનપાના તમામ 34 અર્બન હેલ્થ સેન્ટર પર નથી દવાનો જથ્થો
વડોદરામાં કોરોના કહેર વચ્ચે જિલ્લામાં કોરોનાના દર્દીઓને અપાતી હાઈડ્રોક્સી ક્લોરોક્વિન દવાનો જથ્થો ખલાસ થયો હોવાનું સામે આવ્યું છે. મનપાના તમામ 34 અર્બન હેલ્થ સેન્ટર પર દવાનો જથ્થો નથી. હાલ દર્દીઓને પેરાસીટામોલ દવા આપવામાં આવી રહી છે. એક સપ્તાહથી દવા નથી છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે.
સરકાર દવા નથી આપતીઃ મનપા અધિકારી
તો બીજી તરફ મનપાના આરોગ્ય અધિકારીએ સરકારમાં રજુઆત કરી છે. મનપાના અધિકારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, સરકાર દવા નથી આપતી.
મહત્વનું છે કે, વડોદરામાં દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માગ વધી છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં 40 ટન ઓક્સિજનની માગ છે. આ અંગે ગઇકાલે ગોત્રી હોસ્પિટલના ડૉ.શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ડિમાન્ડ વધશે. હાલમાં ઓક્સિજનની અછત નથી. આગામી સમયમાં ઓક્સિજનની માગ 60 ટન સુધી પહોંચશે. હાલમાં 45 ટન ઓક્સિજનની સપ્લાય મળે છે.
રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?
રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,379 નવા કેસ સાથે કુલ આંકડો 1,19,088 પર પહોંચ્યો છે. તો આજે 1,652 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 99,808 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,273 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 16,007 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.