હૈદરાબાદમાં 27 વર્ષની ડોક્ટર ઉપરના જઘન્ય બળાત્કાર અને ત્યાર બાદ તેને જીવતી સળગાઈ દેવાની ઘટના બહાર આવતા દેશ હચમચી ગયો છે. માનવતા આટલી હદે નીચી જઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. એક તરફ દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો એવા સમયે પીડિતાના પરિવારજનો હજુ આ વાત સ્વીકારી નથી શકતા કે પીડિતા સાથે આ ઘાતકી ઘટના બની છે.
પીડિતાના કાકાએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતી વખતે પરિવારનો આક્રંદ જણાવ્યું હતું.
" અમે હજુ સુધી એ સ્વીકારી નથી શકતા કે અમારી છોકરી હવે અમારી વચ્ચે રહી નથી. આ અમારા માટે ખૂબ મુશ્કેલ ઘડીઓ છે. જયારે પોલીસ અધિકારીઓએ મારુ નામ પૂછ્યું અને સમગ્ર ઘટનાની જાણકારી આપી ત્યારથી હું સૂધબૂધ ખોઈ બેઠો છે. તેની (પીડિતાની) મા અને બહેન સતત રડી રહ્યા છે. બધા લોકો ભેગા થઇને એમને ચૂપ કરવાની કોશિશ કરી રહ્યા છે. સૌ કોઈ કહી રહ્યું છે કે ન્યાય મળશે. પણ મારો સવાલ એ છે કે તેનાથી શું થશે? શું અમારી હસતી, ખિલખિલાટ કરતી છોકરી પાછી મળી જશે? નિર્ભયા કિસ્સા પછી પણ દેશમાં કોઈ બદલાવ આવ્યો નથી. આ દેશની સૌથી મોટી કરુણતા છે. "
તેમણે આગળ જણાવ્યું હતું :
" અમારી છોકરી ખૂબ સારી વ્યક્તિ હતી. તે સૌને વહાલી હતી અને તેને પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ હતો. એ જ કારણસર તેણે પ્રાણીઓના ડોક્ટર બનવાનો નિર્ણય લીધો હતો. મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં સારું પરિણામ હતું અને તે મેડિસિનમાં જઈ શકતી હતી પરંતુ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમના કારણે તેણે આ નિર્ણય કર્યો હતો. જયારે તે નાની બાળકી હતી ત્યારથી તેને રખડતા કૂતરા, ગાયો, ઘોડા સાથે રમવું ખૂબ ગમતું. "
તેમણે તેના પરિવાર અંગે રડતા રડતા જણાવ્યું હતું :
" તેના પિતાની બદલી વાળી નોકરી હતી. તેઓ હંમેશા અઠવાડિયાના અંતે રાજાઓમાં પરિવાર સાથે રહેવા આવતા. તેમના રિટાયરમેન્ટના ફક્ત 8 મહિના બાકી હતા જેના પછી તેઓ તેમનો સંપૂર્ણ સમય પરિવાર સાથે વિતાવવા ઇચ્છતા હતા.
અમારી છોકરીનું જીવન બસ 4 વસ્તુઓની આસપાસ ફર્યા કરતું - પ્રાણીઓ, પુસ્તકો, પરિવાર અને કુકીંગ. તે હંમેશા ઓનલાઇન નવી નવી રેસિપી શીખીને નવા નવા ખાવાના પ્રયોગો કર્યા કરતી. "
તેમણે રડતા રડતા આગળ જણાવ્યું હતું :
" જયારે અમારા સમાજમાં કોઈ અવિવાહિત છોકરીનું મૃત્યુ થઇ જાય ત્યારે તેનો અગ્નિદાહ આપવાની પહેલા તેના લગ્ન વૃક્ષ સાથે કરાવાય છે જેથી તેના આત્માને શાંતિ મળે. જો કે હું આવી વાતો માનતો નથી બસ ઈશ્વરને પ્રાર્થના કરું છે કે તેના આત્માને શાંતિ મળે. "
તેના કાકાએ એમ પણ જણાવ્યું હતું કે આટલી મોટી ઘટના બની ગઈ હોવા છતાં મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતો કોઈ સંદેશ પાઠવ્યો નથી. તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે દેશને સુરક્ષિત કરવામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવે.