હૈદરાબાદ કેસને લઈને દેશમાં અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. લગભગ 9 દિવસ બાદ શુક્રવારે સવારે લોકો ઉઠ્યા ત્યારે વહેલી સવારે તેમને અચાનક મોટા સમાચાર મળ્યા. આ સમાચાર એ છે કે મહિલા દુષ્કર્મમાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયા છે.
હૈદરાબાદ રેપ કેસના તમામ આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
પોલીસ સાથેની અથડામણમાં થયા આરોપીઓના મોત
મારી દીકરીની આત્માને શાંતિ મળી- પીડિતાના પિતા
હૈદરાબાદ કેસમાં DCPનું નિવેદન
હૈદરાબાદમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને DCPએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આરોપીઓએ પોલીસ હથિયાર છીનવીને ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સેલ્ફ ડિફેન્સમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.
પીડિતાના પિતાએ પોલીસને પાઠવી શુભકામના
હૈદરાબાદની પીડિતાના ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે પીડિતાના પરિવારે ખુશી વ્યક્ત કરી છે. પીડિતાના પિતાએ કહ્યું કે ઘટનાના 9 દિવસ બાદ આરોપીને ઠાર મરાયા છે જેના કારણે મારી દીકરીની આત્માને શાંતિ મળી છે. સાથે જ પોલીસને એન્કાઉન્ટરની શુભકામના પણ પાઠવી.
આ રીતે થયું એન્કાઉન્ટર
હૈદરાબાદ ગેંગ રેપ કેસના આરોપીઓને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ સમયે તેઓએ ધુમ્મસની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કરવામાં આવેલા એક એન્કાઉન્ટરમાં તમામ 4 આરોપીઓનું મોત નીપજ્યું છે.
જાણી લો શું હતો આખી રાતનો ઘટનાક્રમ
હૈદરાબાદ પોલીસે મહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓની 7 દિવસની કસ્ટડી લીધી હતી. પોલીસ પૂછતાછ સમયે સીનને રિક્રિએટ કરવા માટે આરોપીઓને ફરીથી તે સ્થાન એટલે કે એનએચ 44 હાઈવે પર લઈ ગઈ જ્યાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી.
પોલીસે કર્યો આ દાવો
પોલીસનો દાવો છે કે સીન રિક્રિએશન સમયે આરોપીઓએ ધુમ્મસનો લાભ લઈને ભાગવા માટે પોલીસ પર હુમલો કર્યો અને ભાગવાની કોશિશ કરી. પોલીસ અને આરોપીઓ વચ્ચેની આ અથડામણમાં પોલીસ એન્કાઉન્ટરમાં તમામ 4 આરોપીઓના મોત થયા છે. એન્કાઉન્ટર એ જ સ્થળે કરવામાં આવ્યું છે જ્યાં દુષ્કર્મ થયું હતું એટલે કે NH-44 હાઈવે પર.
આવી રીતે બની હતી ઘટના
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં 27 નવેમ્બરે સ્કૂટીથી જઈ રહેલી મહિલા ડોક્ટરની સાથે 4 આરોપીઓએ રેપ કર્યો હતો અને પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના બાદ આખો દેશ અચરજ પામ્યો હતો. દેશના અનેક ભાગમાં આ કેસને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, સડકથી શરૂ થયેલું આ પ્રદર્શન સંસદ સુધી પણ પહોંચ્યું હતું. દરેકની માંગ હતી કે આ કેસમાં ઝડપથી કોઈ કડક સજા આપવામાં આવે.
પીડિતાના પિતાએ દોષીઓને જલ્દી સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી
મહિલા ડોક્ટરના પિતાએ મંગળવારે કહ્યું હતું કે દોષીઓને શક્ય તેટલી જલ્દી સજા આપવામાં આવે. કાયદા તો છે પણ તેનું પાલન થતું નથી. તેઓએ નિર્ભયા કેસનો દાખલો આપીને કહ્યું હતું કે આરોપીઓને હજુ સુધી કોઈ સજા મળી નથી. આવા આરોપીઓને તો ફાંસીની સજા થવી જોઈએ.