આંધ્રપ્રદેશના હૈદરાબાદનો રહેવાસી શિવા લાઇફ ગાર્ડ તરીકે કામ કરીને નદી-તળાવમાં આત્મહત્યા કરવા આવતા લોકોને બચાવી લે છે. અત્યાર સુધી તેણે ૧૦૭ લોકોની જિંદગી બચાવી છે. આ કામ માટે તે તળાવ પાસે જ ઊભો રહે છે. તેનું કહેવું છે કે મારા ભાઇનું મોત ડૂબવાથી થયું હતું અને હું ઇચ્છતો નથી કે કોઇ વ્યક્તિ પોતાના પ્રિયને ગુમાવી દે. તેથી મારી કોશિશ હોય છે કે ડૂબવાથી કોઇનું મોત ન થાય.
શિવાના ૧ર વર્ષના ભાઇનું મોત હૈદરાબાદના અસમનપેટ સરોવરમાં ડૂબવાથી થયું હતું. ત્યારબાદ તેણે લાઇફ ગાર્ડ બનવાનું નક્કી કર્યું. શિવાએ જણાવ્યું કે તેણે સરોવરમાંથી પોતાના ભાઇની લાશ કાઢી હતી. હું ખૂબ જ દુઃખી હતો અને તેથી મેેં લાઇફ ગાર્ડ તરીકે કામ કરવાનું નક્કી કર્યું.
શિવાએ જણાવ્યું કે મેં અત્યાર સુધી ૧૦૭ લોકોને બચાવ્યા છે. પોલીસે મને હોમગાર્ડની નોકરી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી મળી નથી. હું લોકોને કોઇ પણ પ્રકારનાં સુુરક્ષાનાં સાધનો વગર બચાવવા ઇચ્છું છું. શિવાએ જણાવ્યું કે એક વખત એક મહિલાને બચાવતી વખતે મને ખભા અને છાતીમાં રોડ વાગી હતી. ઘણી વાર મને ઇન્ફેક્શન પણ થઇ ચૂક્યું છે.
પોલીસ અધિકારી વિશ્વપ્રસાદે જણાવ્યું કે શિવાએ હંમેશાં પાણીમાંથી લાશ કાઢવામાં પણ અમને મદદ કરી છે. તેના સિવાય કોઇ મદદ માટે આગળ આવતું નથી. મેં હાલમાં તેલંગાણા સોશિયલ વેલ્ફેર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના ડિરેક્ટર પ્રવીણકુમારને એક પત્ર લખીનેે જણાવ્યું છે કે શિવાનાં બાળકોને સ્કૂલમાં એડમિશન આપે. સરકારે પણ તેને મદદ માટે આગળ આવવું જોઇએ.