હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પર ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાના બનાવથી દેશભરના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. દેશના જુદાં જુદાં શહેરોમાં લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ, દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના વડા સ્વાતિ માલીવાલ દેશના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોમાં સામે આવેલી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં આમરણ ઉપવાસ પર બેસી ગયાં છે. માલીવાલ આજે સવારે ૧૦.૦૦ વાગ્યે જંતરમંતર ખાતે ઉપવાસ પર બેઠાં હતાં. આ અગાઉ તેમણે સવારે ૯.૩૦ વાગ્યે રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડીસીડબ્લ્યુ ચીફ સ્વાતિ માલીવાલ કઠુઆ અને ઉન્નાવ રેપ કેસના વિરોધમાં પણ ન્યાયની માગણી સાથે ઉપવાસ પર બેઠાં હતાં. સ્વાતિ માલીવાલે ટ્વિટ કર્યું હતું કે, બહુ થયું હવે. છ વર્ષની પુત્રી અને મહિલા ડોક્ટરની ચીસો મને બે મિનિટ પણ શાંતિથી બેસવા દેતી નથી.
બળાત્કારીઓને કોઈપણ સંજોગોમાં છ મહિનામાં ફાંસી થવી જોઈએ. આ કાયદાનો અમલ કરાવવા માટે હું જંતરમંતર પર આમરણ ઉપવાસ પર બેસું છું. જ્યાં સુધી મહિલાઓને સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસ ચાલુ રાખીશ. તેમણે કહ્યું કે, દેશમાં આજે મહિલાઓ ક્યાંય પણ સલામત નથી અને આવી સ્થિતિમાં અમારે અવાજ ઉઠાવવો જ જોઇએ.
મહિલા ડોક્ટર પરના ગેંગરેપના વિરોધમાં દેશભરમાં ઉગ્ર દેખાવો ચાલુ છે. આજે બિહારના પાટનગર પટણામાં તમામ મહિલા સંસ્થાઓ, વિદ્યાર્થી સંગઠનો તરફથી મોટી સંખ્યામાં મહિલાઓ પર થઈ રહેલી હિંસા, બળાત્કાર અને હત્યાના વિરોધમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આજે બપોરે ૩.૦૦ વાગ્યે પટણા રેડિયો સ્ટેશન નજીકથી શરૂ થશે.
ગઈ કાલે સંસદના બંને ગૃહોમાં પણ હૈદરાબાદ ગેંગરેપની આ ઘટનાની આકરી ટીકા કરવામાં આવી હતી. વિવિધ પક્ષોના સભ્યોએ આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધન કરવાની અને બળાત્કારના કેસમાં કાયદો વધુ કડક બનાવવાની માંગ કરી હતી. આ અંગે સરકારે કહ્યું કે, તે આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધન કરવા તૈયાર છે અને આ સંદર્ભે હાલ ચર્ચા ચાલી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું કે, આતંકવાદ અને ભ્રષ્ટાચારને બિલકુલ સહન ન કરવાના સંકલ્પની જેમ જ સરકાર મહિલાઓ સામેના અપરાધને પણ બિલકુલ સહન નહીં કરવા માટે કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ૨૭ વર્ષીય મહિલા વેટરનરી ડોક્ટર પર ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ આરોપીઓએ પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યા પછી લોકોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો અને દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે.